ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને
ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારી — સિદ્ધ જેવું — છે
તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને
તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની
ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે
કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં
ભિન્ન તત્ત્વોનું ભાન કરી, સ્વરૂપમાં ઠરી — સ્વરૂપની નિશ્ચય
ભક્તિ કરી — મોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને
ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે.
ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૨
✽
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને બહારમાં
દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન
સાધકને આવ્યા વિના રહેતું નથી — એવાં દેવ-શાસ્ત્ર-ગુરુના
આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય
પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું
પ્રયોજન છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને
આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે ‘હે
જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં
પાદપંકજની ભક્તિ હો’! — આવા ભાવ સાધકદશામાં આવે છે,
અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે.
બહેનશ્રીનાં વચનામૃત બોલ નં. ૩૪૨
✽