ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ નામનું શાસ્ત્ર ‘દ્વિતીય શ્રુતસ્કંધ’નાં સર્વોત્કૃષ્ટ આગમોમાંનું એક છે.
‘દ્વિતીય શ્રુતસ્કંધ’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએઃ
આજથી ૨૪૮૩ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગત્પૂજ્ય પરમભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની વ્યુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા — એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને બીજા આગ્રાયણીપૂર્વના પાંચમા વસ્તુ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યારપછીના આચાર્યો દ્વારા ષટ્ખંડાગમ, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં મુખ્યત્વે જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું — ગુણસ્થાન, માર્ગણાસ્થાન