વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ને પણ તેને
મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને
નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી
મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.
અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગસૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માર્થી જીવોનો, આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું — સ્વસમયનું — શુદ્ધ મુનિદશાનું — પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને સરાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકાર મુનીંદ્રોએ આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્ત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હૃદય શાંત-શાંત થઈ મુનિઓની આત્માનુભવ- મૂલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે ‘શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.’
આ પવિત્ર શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને પારાવાર ભક્તિ છે. તેઓશ્રી અનેક વાર કહે છે કે — ‘શ્રી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અદ્ભુત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં