સમયસાર ગાથા-૯૨ ] [ ૨૩ માને છે કે ‘‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું,’’ ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ-દ્વેષાદિનો કર્તા થાય છે.’
રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખ આદિ અવસથા-એ બધો પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ આત્માના આનંદનો સ્વાદ નથી. શીતઉષ્ણપણાની માફક એ પરિણામો પુદ્ગલથી અભિન્ન છે. ભગવાન જ્ઞાયકથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પરંતુ અજ્ઞાનીને આવું ભેદજ્ઞાન નથી. તેથી તે એમ જ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. અજ્ઞાની માને છે કે રાગ મારી ચીજ છે. અરે ભાઈ! તારી ચીજ તો જ્ઞાયક છે. જ્ઞાયક મારી ચીજ છે એમ માનવાને બદલે રાગ મારી ચીજ છે એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ-દ્વેષાદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. ત્યાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગ તો ખરેખર જ્ઞાનનું પરજ્ઞેય છે. પણ એમ ન માનતાં હું રાગદ્વેષપણે જ થઈ ગયો છું એમ અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિ કર્મોનો કર્તા થાય છે; પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું ભાન પ્રગટ કરતો નથી.