૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
કહે છે-ધર્મીજીવ કિંચિત્માત્ર રાગપણે પરિણમતો નથી. રાગમાં જ્ઞાનનો અંશ નથી. રાગ તો અજ્ઞાન છે. અને ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. તે જ્ઞાનપણે પરિણમે એવો તેનો સ્વભાવ અને સામર્થ્ય છે. ધર્મી જીવને દ્રવ્ય-સન્મુખનું પરિણમન થઈ ગયું છે એટલે તેને રાગસન્મુખનું પરિણમન છે નહિ. જે રાગ આવે છે તેનો ધર્મી જીવ જ્ઞાતાદ્રષ્ટા રહે છે. જ્ઞાનીને ખરેખર જ્ઞાતાદ્રષ્ટાનું જ પરિણમન છે. આ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનની વાત છે. અને ચારિત્ર! ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! અહાહા...! સમ્યગ્દર્શન સહિત અંતરમાં આનંદની રમણતા એનું નામ ચારિત્ર છે. એવા ચારિત્રવંત ભાવલિંગી મુનિવરોનાં દર્શન પણ આ કાળમાં મહાદુર્લભ થઈ પડયાં છે.
એક વાર જંગલમાં ગયા હતા ત્યાં એમ થઈ આવ્યું કે અહા! કોઈ ભાવલિંગી મુનિવર ઉતરી આવે તો! અહો! એ ધન્યદશાનાં સાક્ષાત્ દર્શન થાય તો! અહાહા...! મુનિપદ તો પરમેશ્વર પદ છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ એક કળશમાં (કળશ ૨પ૩માં) એમ કહે છે કે મુનિમાં અને કેવળીમાં કિંચિત્ ફેર માને તે જડ છે. અહાહા...! આવું મુનિપદ તે પરમેષ્ઠીપદ છે. પદ્મપ્રભમલધારિદેવ અહીંથી વૈમાનિક દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મનુષ્યપણામાં આવી કેવળજ્ઞાન પામીને સિદ્ધપદ પામશે. આવું અલૌકિક છે મુનિપદ!
અહીં કહે છે-ધર્મીને દ્રવ્યસ્વભાવસન્મુખનું પરિણમન થઈ ગયું છે એટલે એનું જ્ઞાતાદ્રષ્ટાપણે જ પરિણમન છે. છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. તેમાં અશુદ્ધપરિણમનની વાત જ લીધી નથી. ભગવાન આત્મા ક્રમરૂપ શુદ્ધપણે પરિણમે છે. ત્યાં ક્રમ (પર્યાય) શુદ્ધ અને અક્રમ (ગુણ) શુદ્ધ-એમ કહ્યું છે. દ્રવ્યની શક્તિ શુદ્ધ છે ત્રિકાળી શુદ્ધ શક્તિવાન દ્રવ્યની સન્મુખ થતાં શક્તિની પ્રતીતિ આવી જાય છે અને તેની પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે. પછી પર્યાયના ક્રમમાં અશુદ્ધતા આવે જ નહિ. દ્રવ્યની શક્તિનું વર્ણન છે એટલે દ્રષ્ટિપ્રધાન કથનમાં ક્રમ નિર્મળ છે એમ કહ્યું છે. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં કહ્યું છે કે મુનિરાજને જેટલો રાગ છે તે પરિણમનના તે કર્તા છે. પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં કર્તા કહેલ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે અપેક્ષાએ યથાર્થ સમજવું જોઈએ.
દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય પવિત્ર છે તો કહે છે કે જ્ઞાની કિંચિત્માત્ર રાગપણે પરિણમતા નથી; રાગના સ્વામીપણે પરિણમતા નથી, રાગથી ભિન્નપણે જ્ઞાતાદ્રષ્ટારૂપે પરિણમે છે. ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે અને તે જ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. અજ્ઞાની રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. આત્મા જ્ઞાન અને આનંદપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે.
અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું