Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1152 of 4199

 

સમયસાર ગાથા-૯૭ ] [ ૯૧

અરે! અજ્ઞાની કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છે. મનુષ્યને બે પગ છે. પછી તે પરણે એટલે ચાર પગ થાય, એટલે કે તે ઢોર થાય. પછી એને છોકરો થાય એટલે તે છપગો ભમરો થાય. ભમરાને છ પગ હોય છે. અજ્ઞાની ભમરાની જેમ જ્યાં-ત્યાં ગુંજે-આ મારી બાયડી; આ મારો છોકરો એમ ગુંજે. પછી છોકરો મોટો થાય એટલે એને પરણાવે. છોકરાની વહુ ઘરમાં આવે એટલે આઠપગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ કરી કરીને તેમાં ફસાઈ જાય છે. વરઘોડિયાં પગે લાગવા આવે એટલે અજ્ઞાની ખુશી ખુશી થઈ જાય, પણ એને ખબર નથી કે આ દુઃખની જાળ રચી છે. અરે ભાઈ! સંસારમાં સુખ કેવું? સંસારમાં-રાગમાં તું દુઃખી જ છો.

કન્યાને સાસરે વળાવે ત્યારે વિરહના ભારથી કન્યા રડે છે, એની માતા પણ રડે છે. બહારથી વિરહના દુઃખમાં રડે છે પણ અંદર કન્યાને સાસરે જવાનો હરખ હોય છે. તેમ રાગ જ્ઞાનીને આવે છે પણ રાગનો જ્ઞાનીને આદર નથી. ધર્મીને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે; પણ ઠરી ન શકે તો રાગ આવે છે. પરંતુ રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે, કેમકે જ્ઞાનીની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ પર ચોંટેલી છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એટલું પરિણમનની અપેક્ષાએ કર્તાપણું છે, પણ પરમાર્થે તે જ્ઞાતા જ છે કેમકે રાગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ જ્ઞાની માનતો નથી. જ્ઞાની સ્વપરનો ભેદ જાણે છે માટે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે કે-

‘‘સ્વપર પ્રકાસક સકતિ હમારી, તાતૈં વચન ભેદ ભ્રમ ભારી;
જ્ઞેય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપા ભાસી.’’

અહા! નિજરૂપ તે સ્વજ્ઞેય અને રાગાદિ તે પરજ્ઞેય છે. જ્ઞાન પરને-રાગને જાણે એમ કહેવું એ ખરેખર વ્યવહાર છે; વાસ્તવમાં તો તે કાળે જ્ઞાન પોતે પોતાને જાણે છે. સ્વપરના ભેદને જે જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯ કળશ પૂરો થયો.

* * *

હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ-

* કળશ ૬૦ઃ શ્લોકાર્થ ઉપરનું્ પ્રવચન *
‘ज्वलन–पयसोः औष्ण्य–शैत्य–व्यवस्था’ (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને

પાણીની શીતળતાનો ભેદ ‘ज्ञानात् एव’ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આનો અર્થ કરતાં કળશટીકામાં એમ કહ્યું છે કે-‘‘જેમ અગ્નિ અને પાણીના ઊષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાયછે તેમ.’’