સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ] [ ૨પ૭ ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.
તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.
આ જ અર્થ પાંચ ગાથાઓથી કહે છેઃ-
‘તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય, અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે.’
જુઓ, આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી પરમ પવિત્ર પ્રભુ છે. તેનું ભાન નહિ હોવાથી પર્યાયમાં અજ્ઞાનભાવે પરિણમે છે. જડ પુદ્ગલ ઉદયમાં આવતાં જ્ઞાનમાં જે અજ્ઞાનરૂપ, વિપરીતજ્ઞાનરૂપ સ્વાદ આવે છે તે ખરેખર જડ પુદ્ગલનો સ્વાદ છે, તે આત્માનો-શુદ્ધ ચૈતન્યનો પવિત્રતાનો સ્વાદ નથી. અહીં અજ્ઞાનમય ભાવના ચાર ભેદ કહ્યા છે-મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. અજ્ઞાનભાવમાં આ ચારેય ઊભા છે અને જેને આત્મદ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને (દ્રષ્ટિ અપેક્ષાએ) ચારેય ભાવ ટળી ગયા છે.