સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૮૯ વ્યવહારની ક્રિયા છે એ તો રાગ છે. ભલે શુભરાગ હો, પણ એનાથી ભગવાન આત્મા કયાં તન્મય છે? જેનાથી જે તન્મય નથી એનાથી તે પ્રાપ્ત કેમ થાય? શુભરાગથી આત્મા તન્મય નથી તો એનાથી તે કેમ પ્રાપ્ત થાય? ન જ થાય.
વ્યવહારના પક્ષવાળાને આ આકરું લાગે હો; તેને દુઃખ થાય. દુઃખ થાય તો ભાઈ! ક્ષમા કરજે, પણ માર્ગ તો આવો જ છે પ્રભુ! બાપુ! તું ભગવાનસ્વરૂપ છો ને! તને દુઃખ થાય એવી વાત કોઈ ન કરે. પણ વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં શું થાય? આ તો વસ્તુના સ્વરૂપની તારા હિતની વાત છે ભાઈ!
હું મુક્તસ્વરૂપ છું, પરમાત્મસ્વરૂપ છું, પરમબ્રહ્મ પરમેશ્વર છું-ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન થાય તે પણ નુકશાનકારક છે તો પછી વ્યવહારરત્નત્રયના વિકલ્પની શું કથા? અહા! આ તો શાસ્ત્ર આમ કહે છે. આ વીતરાગની વાણી છે ભાઈ! કે જે સમસ્ત નયપક્ષને છોડે છે તે જ સમસ્ત વિકલ્પને છોડે છે અને તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. એ વળી કયો સમયસાર છે? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ એવા સમયસારને પ્રાપ્ત થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. (શક્તિરૂપે) જે પ્રાપ્ત હતો તેની પ્રાપ્તિ થાય છે. બાપુ! આ તો તારા હિતની વાત છે. બધા આત્મા ભગવાન છે ને નાથ!
શ્રીમદે કહ્યું છે ને કે-
‘‘બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો
મહાપુણ્યને લઈને આવો આ મનુષ્યભવ મળ્યો છતાં ભવચક્રનો એકેય આંટો ટળ્યો નહિ. ખૂબ ગંભીર વાત પ્રભુ! નિગોદના જીવને ત્રસપણું મળવું મહાદુર્લભ છે. એવા સ્થાનમાંથી પણ નીકળીને તું મનુષ્યપર્યાયમાં આવ્યો, સંજ્ઞી પંચેન્દ્રિય થયો, ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવની વાણી તને કાને પડી. હવે આ બહારનો સંબંધ તોડી, સમસ્ત વિકલ્પને મટાડી, વિજ્ઞાનઘનસ્વભાવી આત્માનો અનુભવ પ્રગટ કર. તેથી ચાર-ગતિના અતિ દુઃખમય ભવભ્રમણનો અંત આવશે.
આત્મા નિર્વિકલ્પ આનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ છે. તે ભગવાન આત્મા ચોરાસીના અવતાર કરવા યોગ્ય નથી. આત્મા તો પરમાત્મપદની પ્રાપ્તિને યોગ્ય છે. અહા! સર્વાર્થ-સિદ્ધિ દેવલોકમાં ઉપજવું એવી પણ આત્માની યોગ્યતા નથી. ભવ અને ભવનો ભાવ આત્માના સ્વભાવમાં નથી. તું ભવ અને ભવના ભાવથી રહિત છો પ્રભુ! માટે સમસ્ત વિકલ્પને છોડી તને તું પ્રાપ્ત કર. (આ અવસર છે).