સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧પ
‘જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે.’ અહીં સિદ્ધાંત શું સિદ્ધ કરવો છે? કે શુભાશુભ ભાવથી ભિન્ન પડેલું જ્ઞાન વધીને કેવળજ્ઞાન થઈ જાય છે. એ સમ્યગ્જ્ઞાનજ્યોતિ પોતાથી વધતી જાય છે; એને રાગની મદદની જરૂર નથી. વ્યવહારરત્નત્રય હોય એનાથી પ્રગતિ થાય, આગળ વધાય એમ નથી. જોકે કેવળજ્ઞાન ભણી ગતિ કરતા જ્ઞાનીને વચમાં શુભભાવ આવશે ખરો, પણ એના વડે કેવળજ્ઞાન ભણી ગતિ થશે એમ છે નહિ. જેટલા અંશે શુભ-અશુભથી ભિન્ન પડીને નિર્મળ થયો છે તેટલા અંશે તે ગતિ કરે છે અને તે નિર્મળ અંશ વધતો વધતો કેવળજ્ઞાનને-પૂર્ણને પ્રાપ્ત થશે. એટલે કે શુભભાવનો અભાવ કરીને પૂર્ણને પામશે, પણ શુભભાવ વધી વધીને કેવળજ્ઞાન પામશે એમ છે નહિ. આવો માર્ગ છે, બાપુ! પૂર્વે કોઈ દિ કર્યો નથી એટલે નવો લાગે છે પણ એ પોતાની જ જાતની ચીજ છે, પોતાના ઘરમાં જ પડી છે. અરે, પોતે જ એ-રૂપે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ જે સદાય પરમાત્મસ્વરૂપે જ છે તે જ (પર્યાયમાં) પરમાત્મરૂપે પ્રગટ થાય છે.
‘પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપે થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.’
કર્મરૂપે થઈને બહાર નીકળી ગયું. એ પાત્ર જે વેશ હતા તે છોડી દઈને કર્મરૂપ થઈને બહાર નીકળી ગયું. જયસેનાચાર્યની ટીકામાં તો જે પુણ્ય છે તેને પાપ જ કહ્યું છે. પુણ્ય-પાપ એમ બે નથી પણ બેય એક પાપ જ છે એમ કહ્યું છે. યોગસારમાં પણ કહ્યું છે કે-
લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? વસ્તુની સ્થિતિ જ આવી છે. એને કચડી- મચડીને બીજી રીતે બેસાડવા જઈશ તો એ નહિ બેસે, ભાઈ! માત્ર તને ખેદ અને દુઃખ જ થશે.
‘કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.’