૪૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે.’ જુઓ, આ રાગની એકતાબુદ્ધિ વડે જીવને અનાદિથી સંસાર કેવી રીતે છે તે કહ્યું.
ચોથે ગુણસ્થાને જ્યારે સમ્યગ્દર્શન અને આત્માનુભવ પ્રગટ થાય ત્યારે અનંત ગુણોની નિર્મળ પર્યાય અંશે પ્રગટે છે, અવ્રત અંશે ટળે છે, નિષ્ક્રિયત્વગુણની પણ અંશે નિર્મળ પર્યાય પ્રગટે છે અર્થાત્ અંશે અકંપભાવ પ્રગટ થાય છે. સર્વથા યોગનો અભાવ ચૌદમે ગુણસ્થાને થાય છે, પણ ચોથે ગુણસ્થાને અંશે યોગનો અભાવ થાય છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે કે-‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ.’ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં લીધું છે કે-‘ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે’-મતલબ કે જ્ઞાનાદિ સર્વ ગુણોની એકદેશ પ્રગટતા થવી તે સમકિત છે; અને સર્વદેશ પ્રગટતા થવી તે કેવળજ્ઞાન છે. આનો અર્થ જ એ થયો કે સર્વ ગુણો ચોથે ગુણસ્થાનકે અંશે નિર્મળતારૂપે પ્રગટ થાય છે. અનંતગુણનો એકરૂપ પિંડ એવા દ્રવ્યનો જેને અનુભવ થયો, એનું જ્ઞાન થઈને જેને પ્રતીતિ થઈ તેને સર્વ અનંતગુણનો અંશ તો નિર્મળ પ્રગટ થાય જ. જ્ઞાની સમકિતી જીવ ભેદજ્ઞાનના બળે કરીને ક્રમશઃ અંતઃસ્થિરતા કરીને, અંદર ઠરીને સર્વસંગ રહિત થઈ કર્મથી મુક્ત થઈ જાય છે. એ જ કહે છે-
‘જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.’ લ્યો, આ સંવરનો અર્થાત્ ધર્મ પ્રગટ થવાનો અનુક્રમ કહ્યો.
સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છેઃ-
‘एषः साक्षात् संवरः’ આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર ‘किल’ ખરેખર ‘शुद्ध– आत्मतत्त्वस्य उपलम्भात्’ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી ‘सम्पद्यते’ થાય છે.
શું કહ્યું આ? રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનો અનુભવ કરવાથી સર્વ પ્રકારે-સર્વથા આ સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ સંવર પ્રગટ થાય છે. જુઓ, સ્વરૂપના આશ્રય વિના અને પરથી- રાગથી ભિન્ન પડયા વિના કદીય સંવર અર્થાત્ ધર્મ પ્રગટ થતો નથી. ચૈતન્યસ્વભાવમાં ઢળતાં પુણ્ય-પાપના ભાવ રોકાઈ જઈને સાક્ષાત્ વીતરાગપરિણતિરૂપ સંવર પ્રગટ થાય છે. કળશમાં ‘एषः’-‘આ’ શબ્દ પડયો છે ને? તે પ્રત્યક્ષપણું