સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૭૭ એકરૂપ છે. કહે છે-તે એકનું જ આલંબન લેવું, તે એકનો જ આશ્રય કરવો; મતલબ કે રાગનો નહિ, નિમિત્તનો નહિ ને ભેદનો પણ આશ્રય કરવો નહિ. અહા! આ મારગ અને આ સમ્યગ્દર્શન પામવાની રીત છે. અરે! પણ એને (સાંભળવાની પણ) કયાં નવરાશ છે? અને એ પ્રભુ આનંદનો નાથ (બીજે) કયાં ગોત્યો મળે એમ છે? શું તે બહારમાં કયાંય મળે એમ છે? (ના). ભાઈ! જ્યાં છે ત્યાં અંદરમાં જાય નહિ તો તે મળે શી રીતે? આ એક જ રીત છે.
‘તે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું’-આમ કહીને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પો છે તે આલંબન લેવા યોગ્ય નથી એમ કહે છે, કેમકે એ વિકલ્પના આશ્રયે આત્મ-એકાગ્રતા પ્રગટ થાય છે એમ નથી. અરે, આમાં તો પર્યાયના ભેદનું પણ આલંબન કરવાનો નિષેધ છે કેમકે ભેદના આશ્રયે પણ રાગ થાય છે પણ આત્મ- એકાગ્રતા થતી નથી. ભાઈ! તું જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન છો. પણ અરે! તું કોણ છે? કયાં છો? કેવડો છો? તેની બાપુ! તને ખબર નથી. અહા! જેનો આદર કરવો છે, જેનું આલંબન લેવું છે તે તું કોણ છો? તેની તને ખબર નથી! અહીં કહે છે-ભગવાન! તું જ્ઞાનનું ને સુખનું નિધાન છો. તું ત્યાં અંદરમાં જા; તને નિધાન મળશે.
અરે ભગવાન! તું સાંભળને ભાઈ! આ તારી જુવાની ઝોલાં ખાતી ચાલી જશે અને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી જશે. પ્રભુ! તું ત્યારે કોનું શરણ લઈશ? તેથી કહે છે-અંદર ત્રણ લોકનો નાથ આત્મા જ્ઞાનસ્વરૂપે બિરાજે છે ત્યાં જા ને! ભાઈ! તને યુવાની પ્રગટશે. જો રાગનું શરણ લેવા જઈશ તો ત્યાં અજ્ઞાન પ્રગટશે; અને એ તો બાળદશા છે. એક જ્ઞાનસ્વભાવનું શરણ લઈશ તો તને યુવાની પ્રગટશે-અંતરાત્મારૂપ યુવાની પ્રગટશે અને ક્રમે કરીને પૂર્ણ કેવળજ્ઞાન થતાં વૃદ્ધાવસ્થા થઈ જશે. આ અવસ્થાઓ પ્રભુ! તારા (-જ્ઞાનના) આશ્રયે પ્રગટ થયેલી તારી છે. બાકી આ શરીરની બાળ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો જડની જડરૂપ છે.
અહો! આ તો બહુ સરસ ગાથા છે. કહે છે-એક જ્ઞાનનું જ-ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું એકનું જ આલંબન લેવું.
પ્રશ્નઃ– શું આ એકાન્ત નથી થતું? સમાધાનઃ– ભાઈ! આ એકાન્ત એટલે સમ્યક્ એકાન્ત છે. ભાઈ! તું એને એકાન્ત કહીને જ્ઞાનના આશ્રયથી પણ લાભ થાય અને રાગના આશ્રયથી પણ લાભ થાય-એમ અનેકાન્ત કહે છે પણ એમ અનેકાન્ત છે જ નહિ; એ તો ફુદડીવાદ છે.
પ્રશ્નઃ– તો જયધવલમાં એમ કહ્યું છે કે કર્મનો ક્ષય શુભભાવ અને શુદ્ધભાવ-તે બન્નેથી જ થાય છે. આ કેવી રીતે છે?