૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કહ્યું. હવે અસ્તિથી કહે છે કે-‘જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’
‘જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી’... જોયું? મતલબ કે ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાથી જ્ઞાનનું પ્રકાશવું થાય છે; અર્થાત્ જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્રતા તે જ્ઞાનનું પ્રકાશવું છે. અહા! ભાષા તો જુઓ! ‘જ’ નાખ્યો છે. અહાહા...! કહે છે-જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.’ અર્થાત્ જ્ઞાનસ્વભાવની એકાગ્રતાથી જ જ્ઞાનની-ધર્મની પ્રાપ્તિ થાય છે. લ્યો, આવી વાત! અજ્ઞાનીને તો હજુ શ્રદ્ધાનાંય ઠેકાણાં નથી ત્યાં ધર્મપ્રાપ્તિ તો કયાંથી થાય?
ભાઈ! રાગથી મોક્ષ થાય એવી તારી શ્રદ્ધા મિથ્યાશ્રદ્ધા છે. રાગ હોય છે ખરો, પૂર્ણ શુદ્ધોપયોગ ન થાય ત્યાંસુધી રાગ હોય છે, પરંતુ તે બંધનું જ કારણ છે. તે રાગથી મુક્તિને કે નિર્જરાને કાંઈ મદદ મળે છે એમ છે જ નહિ. અહાહા...! જ્ઞાનમાં જ-ભગવાન જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં જ એકાગ્ર થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિર્જરા અધિકાર છે ને? નિર્જરા-ધર્મ કેમ થાય એની કેટલી સ્પષ્ટતા છે!
ભાઈ! જ્ઞાન વિના, લાખ વ્રત, તપ ને ભક્તિ કરે અને તે પણ ક્રોડો વર્ષ સુધી કરે તોય તે વડે ધર્મની પ્રાપ્તિ થતી નથી કેમકે એ તો બંધનું જ કારણ છે. એ જ કહે છે કે-‘માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી.’
આ શું કહ્યું? કે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અર્થાત્ આત્મજ્ઞાનથી-આત્માના અનુભવથી રહિત જીવો પુષ્કળ એટલે અનેક પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી. આત્માના જાતની ભાત જેમાં પડી નથી એવા વીતરાગી પરિણામથી રહિત ઘણાય જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ અનેક કર્મ કરવાથી પણ જરાય ધર્મને પામતા નથી. અહાહા...! ભગવાનની પ્રતિમાને હજારો વાર પગે લાગે ને સવાર-સાંજ અનેક ક્રિયાકાંડ કર્યા કરે તોપણ જ્ઞાનરહિત તેમને લગારેય ધર્મ થતો નથી.
કોઈને થાય કે તમે આવી વાત કહો છો? પણ ભાઈ! આ ટીકા કોની છે? આ અમૃતચંદ્રાચાર્યની ટીકા છે કે નહિ? અહીં તો એની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવે છે.
પણ એના કરતાં એમ ને એમ વાંચી જતા હોય તો? ભાઈ! એમ ને એમ વાંચી જવું એટલે શું? ભાવ સમજ્યા વિના વાંચી જવું? એનો અર્થ શો? એનાથી શું લાભ? આવે છે ને કે-