૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પહેલાં ‘જો હું અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં, માટે મને અજીવપણું ન હો’-એમ નાસ્તિથી કહ્યું; અને હવે ‘હું તો જ્ઞાતા જ રહીશ’ -એમ અસ્તિથી કહે છે. અહા! ધર્મી તો એમ જ માને છે કે-હું તો જાણવા-દેખવાના સ્વભાવે જ છું અને જાણવા-દેખવાવાળો જ્ઞાતા-દ્રષ્ટા જ રહીશ; હું કદીય રાગરૂપે કે પરરૂપે થઈશ નહિ. જુઓ, છે અંદર? છે કે નહિ? ‘હું તો જ્ઞાતા જ રહીશ.’ અહો! સમયસાર તો ભરતક્ષેત્રનો અજોડ સૂર્ય છે! છેલ્લે ૨૪પ મા કળશમાં લખ્યું છે કે-‘આ એક (અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ છે.’
અહાહાહા...! કહે છે-‘હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું’ શું કહ્યું? કે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ થશે તોપણ ‘તે મારો છે’-એમ હું નહિ માનું; અને ‘તેને મેં કર્યો છે’-એમ પણ નહિ માનું. તે મારું સ્વ નહિ અને હું તેનો સ્વામી નહિ; હું તો જ્ઞાતા-દ્રષ્ટા જ છું.
નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે.
શું કહું? કે નિશ્ચયનયથી એટલે યથાર્થ દ્રષ્ટિથી આ સિદ્ધાંત છે કે-‘જીવનો ભાવ જીવ જ છે.’ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ભગવાન આત્માનો ભાવ છે. તે જીવનો ભાવ જીવ જ છે અને તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે. અહા! પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ, જ્ઞાનાનંદસ્વભાવ, સ્વચ્છતાનો સ્વભાવ તે પોતાનું સ્વ છે અને તેનો આત્મા સ્વામી છે. જે પોતાનું સ્વ છે તેનો આત્મા સ્વામી છે અર્થાત્ સ્વ- ભાવનો આત્મા સ્વામી છે. તેવી રીતે અજીવનો ભાવ અજીવ જ છે. રાગાદિ ભાવ અજીવનો છે તેથી તે અજીવ જ છે. અને તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. રાગનો સ્વ-સ્વામી સંબંધ અજીવની સાથે. અહા! રાગ અજીવ છે તો તેનો સ્વામી પણ અજીવ છે. નિશ્ચયથી રાગનો સ્વામી જીવ નથી. આ નિર્જરા અધિકાર છે ને? જ્ઞાની રાગનો સ્વામી નથી. આવી વાત છે.
કહે છે-જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ તે મારી ચીજ છે. રાગાદિ કયાં મારી ચીજ છે? રાગ તો મારા જ્ઞાનનું વ્યવહારે જ્ઞેય છે; તો પછી ‘તે મારી ચીજ છે’-એમ કેમ હોય? આવી અંતર-દ્રષ્ટિ-અનુભવદ્રષ્ટિ જેને થઈ છે તે જ્ઞાનીને કર્મની ને અશુદ્ધતાની નિર્જરા થાય છે. પણ રાગ મારો છે એવી જ્યાં માન્યતા છે ત્યાં તો મિથ્યાદર્શનનો નવો બંધ પડે છે. મારગ તો આવો છે ભાઈ! અજીવને-રાગાદિને પોતાના માને તો પોતે જ અજીવ થવાનો પ્રસંગ આવે છે.
પણ પાંચ-પચાસ લાખ રૂપિયા કમાય તો ખુશી ન થાય?