૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે, કર્મનો કાંઈ દોષ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર-રાગ થાય છે અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. ત્યાં અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે અને જ્ઞાની કર્તા થતો નથી. જ્ઞાનીને કિંચિત્ રાગનું પરિણમન છે તેમાં ચારિત્રમોહના ઉદય નિમિત્ત છે એમ અહીં કહે છે.
હવે કહે છે-‘તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે.’ જોયું? ભાષા જુઓ! એક શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો (-જીવનો) સ્વભાવ નથી અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. માટે આ અપેક્ષાથી ‘ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે’-એમ કહ્યું છે.
પ્રશ્નઃ– તો આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું? સમાધાનઃ– ભાઈ! રાગરૂપી કાર્ય પોતાનું (-સ્વભાવનું) નથી તે અપેક્ષાએ આમ કહ્યું છે. બાકી રાગ છે તો પોતાની પર્યાયનું કાર્ય; પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી અને નિમિત્તના સંગે થયું છે તો તે અપેક્ષાએ તે કર્મોદયનું કાર્ય છે એમ કહ્યું છે. અહા! પોતે સ્વતંત્ર કર્તા થઈને ઇચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઇચ્છા નથી તે કારણે, જે ઇચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનો નાશ કરી દે છે. અહા! વીતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! બહુ પુરુષાર્થ વડે સમજાય તેવો છે.
અહા! એક બાજુ ‘જન્મક્ષણ’ કહે અર્થાત્ જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, ઉત્પત્તિકાળ છે, તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી-એમ કહે અને વળી કહે કે-ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે; અહા! આ તે કેવી વાત! ભાઈ! જ્યાં જે અપેક્ષાએ કથન છે ત્યાં તે અપેક્ષા સમજી યથાર્થ જાણવું જોઈએ.
અહીં કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું. અહા! સત્ એવા મારા આત્માનું સત્ત્વ તો જ્ઞાન અને આનંદ છે અર્થાત્ એક જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો હું ભંડાર છું. તો મારું જે પરિણમન થાય તે તો જ્ઞાનનું જ પરિણમન થાય છે, સ્વભાવનું જ પરિણમન થાય છે. હવે તેમાં રાગનું પરિણમન કયાં આવ્યું? એ તો રહી ગયું કયાંય બહાર. તો તે રાગનું પરિણમન કર્મોદયનું કાર્ય છે એમ જાણી ભેદજ્ઞાનપૂર્વક તેને જ્ઞાની છોડી દે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે.’ જુઓ! જ્ઞાનીને ઇચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે. એટલે શું? કે જેમ રોગને સૌ દૂર કરવા ઇચ્છે તેમ જ્ઞાની ઇચ્છાને દૂર કરવા-મટાડવા ઇચ્છે છે. ‘ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ