૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહા...! જેને પોતાની અનંત ઋદ્ધિની-આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, પવિત્રતાસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ-એમ અનંતગુણસ્વરૂપ ઋદ્ધિની દ્રષ્ટિ થઈ છે તેને કહે છે, ભૂતકાળનો ભોગ રહ્યો નથી તેથી તેનો તેને પરિગ્રહ રહ્યો નથી. અને ભવિષ્યના ભોગની તેને વાંછા નથી કેમકે જ્યાં આનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો ત્યાં તેને ભોગની વાંછા કેમ રહે? જેને અંતરમાં અતીન્દ્રિય આનંદની ભાવના ઉછળે છે તેને અન્ય ભોગની વાંછાથી શું કામ છે? કાંઈ નહિ. હવે વર્તમાનની વાત કરે છે-
‘અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.’
શું કહ્યું? કે વર્તમાન ઉપભોગ જો રાગબુદ્ધિએ હોય તો જ પરિગ્રહપણાને પામે. પણ જ્ઞાનીને તો રાગનો વિયોગ છે. અહાહા...! ધર્મી જીવને રાગ આવે છે ખરો, પણ તેને રાગનો વિયોગ છે, અર્થાત્ રાગનો પર્યાયમાં સદ્ભાવ નથી એમ કહે છે. એટલે શું? કે જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગનો રાગ નથી. તેને રાગ છે પણ દ્રષ્ટિમાં તેનો વિયોગ છે કેમકે તે હેય છે ને? જ્ઞાનીને રાગ હેય છે તેથી ‘રાગ છે નહિ’-એમ કહ્યું છે. તેથી વર્તમાન ઉપભોગ ધર્મીને છે નહિ. આ પ્રમાણે ત્રણે કાળનો ઉપભોગ ધર્મીને હોતો નથી એમ સિદ્ધ થાય છે. અહાહા...! ત્રિકાળી ભગવાન જ્યાં નજરમાં-અનુભવમાં આવ્યો ત્યાં ત્રણે કાળના ભોગની વાંછા સમાપ્ત થઈ જાય છે, રહેતી નથી. વિશેષ એ જ કહે છે-
‘પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે.’
જુઓ, રાગ શુભ હો કે અશુભ હો; જ્ઞાનીની દ્રષ્ટિમાં તો સર્વ રાગથી ભેદજ્ઞાન થયું છે. અહાહા...! ધર્મીને રાગથી ભેદજ્ઞાન થયું છે માટે તેને રાગનો રાગ છે નહિ. માટે તેને રાગનો વિયોગ છે. જુઓ, ‘वियोगबुद्धिए’–એમ પાઠમાં છે ને? છે? બીજું પદ છે. અહાહા...! જેને આનંદના-નિરાકુલ આનંદના-રસનો સ્વાદ આવ્યો તે રાગની-દુઃખની ભાવના કેમ કરે? વર્તમાનમાં રાગ આવ્યો છે પણ તેમાં તેને એકત્વ નથી. તેથી વર્તમાન ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. અહાહા...! ‘રાગ મારો છે’ -એમ પરિગ્રહપણાને પામતો નથી. અહા! આવો વીતરાગ મારગ બાપા! બહુ સૂક્ષ્મ! ને બહુ દુર્લભ!
જ્ઞાનીને અનંતાનુબંધી સંબંધી રાગ છૂટી ગયો છે અને તે રાગ છૂટી ગયો છે તો તેને રાગનો વિયોગ છે એમ કહે છે. જ્ઞાનીને રાગ થાય છે છતાં તેને રાગથી સંબંધ જ નથી એમ કહે છે. રાગથી ભેદજ્ઞાન કર્યું છે ને! તેથી રાગ સાથે તેને કાંઈ સંબંધ નથી. અહા! આવી વાત ને આવી સૂક્ષ્મ વસ્તુ! વર્તમાનમાં તો એની