Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2348 of 4199

 

સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૩પ

અહાહા...! અગ્નિનો-વજ્રનો ઉપરથી પ્રપાત થાય, અગ્નિના તણખા ઝરતાં વજ્ર પડે તો ત્રણ લોકના જીવો ખળભળી ઉઠે છે ને ભયભીત થઈને પોતાના માર્ગને છોડી દે છે અર્થાત્ માર્ગમાંથી ખસી જાય છે; ત્યારે ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાન ને આનંદમાંથી ખસતા નથી એમ કહે છે. અહાહા...! હું ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ જ્યાં શ્રદ્ધાનમાં આવ્યું તો સ્વરૂપમાંથી કયારેય ચલિત ન થાય એવો પુરુષાર્થ જાગ્રત થાય છે અને તે પુરુષાર્થના બળે સમ્યગ્દ્રષ્ટિ સ્વરૂપમાંથી વિચલિત થતા નથી. તેને કર્મ ને રાગની નિર્જરા થાય છે. નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે ને કે-કોઈ મંદબુદ્ધિ લોકો કદાચિત્ તારી નિંદા કરે તોપણ હે ભાઈ! તું મારગમાં અભક્તિ ન કરીશ; અહાહા...! તને જે વીતરાગમાર્ગ મળ્‌યો છે એનાથી ચલિત ન થઈશ. લોકો નિંદા કરે કે આ તે કેવો ધર્મ! રાગ કરે છે ને વળી કહે છે કે કરતો નથી, આનંદમાં રહે છે!-એમ અનેક કુતર્ક કરીને મત્સરભાવથી નિંદા કરે તોપણ તું વીતરાગભાવથી ચલિત ન થઈશ. જુઓ આ શિખામણ! અહીં કહે છે-માર્ગમાં દ્રઢપણે સ્થિત રહેવાનું સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ જીવો મહા પુરુષાર્થી છે, પરાક્રમી છે.

* કળશ ૧પ૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે.’

સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે એટલે સમકિતી જીવો નિર્ભય હોય છે. ‘शंकां विहाय’–એમ કળશમાં આવ્યું ને? શંકા કહો કે ભય કહો-એક જ છે. સમકિતી નિઃશંક કહેતાં નિર્ભય હોય છે. તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ રહે છે. શુભકર્મના ઉદયે બહુ અનુકૂળ સામગ્રી હોય તેવી અનુકૂળતા વખતે ને અશુભકર્મના ઉદયે સાતમી નરકના જેવી પ્રતિકૂળતા આવે તે વખતે પણ જ્ઞાની તો જ્ઞાનરૂપે જ પરિણમે છે.

શું કહ્યું એ? કે શુભાશુભકર્મના ઉદય વખતે પણ જ્ઞાની જ્ઞાનરૂપે જ પરિણમે છે. ક્રોડોગણી અનુકૂળ સામગ્રી હોય-હીરારત્નના મકાન હોય, માંહી મખમલના ગાલીચા પાથર્યા હોય અને તે પણ ચારેકોર રત્નજડિત હોય ઇત્યાદિ શાતાના ઉદયજનિત સાનુકૂળ સામગ્રીના ઢગ મળ્‌યા હોય તોય જ્ઞાની જ્ઞાનભાવથી ચલિત થતો નથી, તે સામગ્રીને ઇષ્ટ જાણી તેમાં એકપણું કરતો નથી. તથા અશુભના ઉદયે કાળું શરીર, બહારમાં નિર્ધનતા ઇત્યાદિ અનેક પ્રકારે પ્રતિકૂળતાના ગંજ આવી પડયા હોય તોપણ જ્ઞાની જ્ઞાનથી ચ્યુત થતો નથી. અર્થાત્ તેમાં ખેદભાવને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની સામગ્રીમાં એકપણું પામીને હરખાતોય નથી ને ખેદાતોય નથી.