૪૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ કિંચિત્ વાંછા ધર્મીને થઈ આવે છે તે વાંછાનો તે કર્તા થતો નથી પણ કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે. લ્યો, આવો મારગ! સાધારણ (અજ્ઞાની) લોકોએ માન્યો છે એવો જૈનધર્મ નથી બાપા!
શું કહે છે? કે-‘તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.’
પોતે ચેતયિતા છે ને? તો કિંચિત્ રાગ થાય છે તેને કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા રહે છે. અહા! આને જૈન-સમ્યગ્દ્રષ્ટિ કહીએ. રાગની-વ્યવહારની વાંછા કરે તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે. આ બીજો (નિઃકાંક્ષિતનો) બોલ થયો.
પહેલા બોલમાં નિઃશંકની વાત કરી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા પરમેશ્વરસ્વરૂપ છે. શું કહ્યું? પરમાત્મા સ્વરૂપ જ પોતાની ચીજ છે. કેમકે તેમાંથી જ પરમાત્મા થાય છે. પરમાત્મા કાંઈ બહારથી નથી આવતા. અહા! ભગવાન અરિહંતદેવ વીતરાગ સર્વજ્ઞ થયા તે કયાંથી થયા? શું તે બહારમાંથી (ક્રિયાકાંડથી) થયા છે? અંદર આત્મામાં તે-રૂપે ચીજ પડી છે તેમાંથી થયા છે. અહા! આવી જેને પોતાના સ્વરૂપસંબંધી નિઃશંકતા થઈ તે ધર્મી છે, જ્ઞાની છે. એ તો આવી ગયું ને? કે સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક છે. કેમ? કારણ કે બંધનું કારણ એવા જે મિથ્યાત્વાદિ ભાવો છે તેનો તેને અભાવ છે. ‘હું પૂર્ણ નથી’ વા ‘રાગનો મને સંબંધ છે’-એવા સંદેહનો તેને અભાવ છે. અહા! જ્ઞાનીને નિઃશંકતામાં સર્વ સંદેહનો નાશ થઈ ગયો છે.
શું કહ્યું? કે પૂર્ણાનંદમય પ્રભુ આત્મા સદા વીતરાગસ્વરૂપે, મુક્તસ્વરૂપે અંદર બિરાજમાન છે. તેમાં જ્ઞાનીને નિઃશંકતા છે, પણ શંકા નથી, સંદેહ નથી, કેમકે સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો તેને અભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ મિથ્યાત્વાદિ ચારેયનો છેદવાવાળો થયો છે અને તેથી તે સ્વરૂપમાં નિઃશંક છે. ખાલી વાંચી જાય તો સમજાય એવું નથી બાપુ! આ તો કેવળી ભગવાનની વાણી બાપા! ખૂબ ગરજ કરીને ખાસ ફુરસદ લઈને નિરંતર સ્વાધ્યાય કરવો જોઈએ.
અહા! ધર્મીને પોતાના પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપમાં નિઃશંકતા છે. કેમ? કારણ કે ‘હું અપૂર્ણ છું’ અને ‘હું રાગના સંબંધવાળો છું’ એવા સંદેહનો તેણે નિજ સ્વરૂપના લક્ષે નાશ કરી દીધો છે. અહા! પોતે પૂરણ આનંદસ્વરૂપ ને વીતરાગસ્વરૂપ જ છે અને પર્યાયમાં જે આનંદ ને વીતરાગતા આવે છે તે અંદર નિજ સ્વરૂપના આશ્રયમાંથી જ આવે છે આવી દ્રઢ પ્રતીતિ ધર્મીને થઈ છે. તેથી તે બહારના ક્રિયાકાંડ આદિ સર્વ પરસ્વભાવો પ્રતિ નિરુત્સુક છે, નિઃવાંછક છે. આ નિઃશંક ને નિઃકાંક્ષ એ બેનો સરવાળો છે.
અહા! નિઃશંકિતમાં એમ આવ્યું કે-હું પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ વીતરાગસ્વરૂપ, પૂર્ણ પ્રભુતાસ્વરૂપ, પૂર્ણ સ્વચ્છતાસ્વરૂપ-એમ પૂર્ણ અનંતગુણ-