સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૯ રાગને-બંધને ઉડાડી દેતું જ્ઞાન-આત્મજ્ઞાન ઉદય પામે છે. અહા! અંર્તદ્રષ્ટિ કરતાં અબંધસ્વભાવી એક જ્ઞાયકભાવમાત્ર આત્માની પ્રતીતિ ને જ્ઞાન પ્રગટ થાય છે અને એનું જ નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કેવું છે જ્ઞાન? અર્થાત્ કેવો છે ભગવાન આત્મા? જ્ઞાન કહેતાં આત્મા; તો કહે છે-
‘आनन्द–अमृत–नित्य–भोजि’ આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, શું કહ્યું? કે વર્તમાન પ્રગટેલું સમ્યગ્જ્ઞાન આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું છે. પહેલાં (અનાદિથી) જે રાગની એકતારૂપ દશા હતી તે દુઃખરૂપ દશા હતી. પરંતુ રાગથી-પુણ્ય- પાપના વિકલ્પથી ભિન્ન પડીને જ્યારે આત્માને-ચિદાનંદરસકંદ પોતાના ભગવાનને- જાણ્યો ત્યારે, કહે છે કે જે જ્ઞાન-સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું તે આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહાહા...! રાગના-ઝેરના સ્વાદના વેદનથી છૂટી જે જ્ઞાન શુદ્ધ ચૈતન્યરસના સ્વાદના વેદનમાં પડયું તે, કહે છે, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે. અહા! ભાષા તો જુઓ! આનંદરૂપી અમૃતનું ‘નિત્ય’ ભોજન કરનારું છે એમ કહે છે.
સહજાનંદસ્વરૂપ પ્રભુ નિત્ય આનંદસ્વરૂપ છે અને તેના સ્વાનુભવ વડે પ્રગટ થયેલું જ્ઞાન પર્યાયમાં નિત્ય આનંદનું ભોજન કરનારું છે. (મતલબ કે હવે પછી એને રાગનો-ઝેરનો સ્વાદ નથી). ગજબ વાત છે.
આ મૈસૂબ, પતરવેલિયાં, સ્ત્રીનું શરીર ઇત્યાદિનો સ્વાદ તો એને છે નહિ, પણ તે ઠીક છે એવો જે રાગ તે ઝેરના પ્યાલા છે પ્રભુ! અને આત્મા આનંદરસકંદ પ્રભુ જેવો છે તેવો સ્વાનુભવમાં આવવો તે અમૃતના પ્યાલા છે. આ અમૃતના પ્યાલા જેને પ્રગટયા તેને નિત્ય પ્રગટયા છે એમ કહે છે. અત્યારે લોકોના અંતરમાં જ્યાં સંસારની-રાગની હોળી સળગે છે ત્યાં તો આ વાત છે નહિ પણ ધર્મના બહાને જ્યાં રાગની-શુભરાગની પ્રરૂપણા ચાલે છે ત્યાં પણ આ વાત છે નહિ. શું થાય? અરેરે! જ્યાં સત્ય સાંભળવાય મળે નહિ ત્યાં સત્યનો વિચાર ક્યાંથી ઉગે? ત્યાં સત્યનો (શુદ્ધ આત્મતત્ત્વનો) વિચાર કરવાનો પ્રસંગ ક્યાંથી મળે? અને સત્ય ભણી ઝુકાવ તો થાય જ ક્યાંથી? અહા! એમ ને એમ અવસર (મનુષ્યભવ) વેડફાઈ જાય!
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. તેના સ્વાનુભવમાં પ્રગટેલું જ્ઞાન બંધનો છેદ કરીને નિત્ય આનંદામૃતનું ભોજન કરનારું છે. આવી વાત! હવે જેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ ભાસે છે તે વિષયોના ભિખારીને અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ ક્યાંથી આવે? અહા! કોઈને સ્ત્રી રૂપાળી, સુંદર, નમણી હોય અને