૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પુદ્ગલોથી ભરેલો લોક, ‘न चलनात्मकं कर्म वा’ નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય- વચન-મનની ક્રિયારૂપ યોગ), ‘न नैककरणानि’ નથી અનેક પ્રકારનાં કરણો, ‘वा न चिद्–अचिद्–वधः’ કે નથી ચેતન-અચેતનનો ઘાત.
રાગાદિક સાથે જે ઐકય પામે છે ‘स एव केवलं’ તે જ એક (-માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) ‘किल’ ખરેખર ‘नृणाम बन्धहेतुः भवति’ પુરુષોને બંધનું કારણ છે.
શું કહ્યું? ‘ઉપયોગભૂ’ -એટલે ભગવાન આત્માની ભૂમિકા તો ચૈતન્યના ઉપયોગરૂપ છે. અર્થાત્ આત્મા જાણવા-દેખવાના ઉપયોગસ્વભાવથી ત્રિકાળ ભરેલો છે; અને તેનું વર્તમાન પણ ચૈતન્યમય ઉપયોગ છે.
અહાહા...! આવા ચૈતન્યમય ઉપયોગની ભૂમિકામાં જે રાગને કરતો નથી, ભેળવતો નથી તે જ્ઞાની નિર્બંધ છે, અને એની સાથે જે રાગાદિકને એક કરે છે તે જ ખરેખર પુરુષોને (-આત્માને) બંધનું કારણ છે. લ્યો, આ ચોકખું લીધું કે ‘ઉપયોગભૂ’ - ત્રિકાળ જ્ઞાનદર્શનના ઉપયોગસ્વરૂપ જે આત્મા, એમાં રાગની એકતા કરવી તે જ એને બંધનું કારણ છે. આમાં સમકિતીના અસ્થિરતાના બંધને કાઢી નાખ્યો છે, અર્થાત્ ગણતરીમાં લીધો નથી. મુખ્ય બંધ મિથ્યાત્વ છે, મુખ્ય સંસાર મિથ્યાત્વ છે, મુખ્ય આસ્રવ મિથ્યાત્વ છે.
જેમ ૧૧ મી ગાથામાં ત્રિકાળીને મુખ્ય કરી સત્યાર્થ નિશ્ચય કહ્યો તેમ અહીં ત્રિકાળી અબંધસ્વરૂપમાં જ્ઞાન સાથે રાગની એકતા કરવી એને મુખ્ય કરીને સંસાર કહ્યો, એને જ બંધનું કારણ કહ્યું.
ભાવાર્થઃ– ‘અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે.’ અહીં રાગાદિક એટલે ઉપયોગમાં રાગાદિકનું એકત્વ કરવું-એમ લેવું. હવે (હવેની ગાથાઓમાં) સવળેથી વાત લેશે. આ ભાવાર્થ પૂરો થયો.