સમયસાર ગાથા-રપ૩] [૭૭
અહા! જ્ઞાનીને દ્રવ્યદ્રષ્ટિ છે. એટલે શું? કે પોતે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેનો તેને આશ્રય વર્તે છે. ત્યાં જ્યારે તે ધ્યાનદશામાં હોય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો નથી. પરંતુ અંદર ધ્યાનમાં ન હોય ત્યારે તેને પ્રમાદવશ અસ્થિરતાનો વિકલ્પ આવે છે કે-આને હું સુખી-દુઃખી કરું. બીજાને સુખી-દુઃખી કરી શકું છું એવો અધ્યવસાય નથી. શું કહ્યું? બીજાને સુખી-દુઃખી કરું એમ વિકલ્પ આવે પણ તેમ કરી શકું છું એમ તે ન માને. આવો ફેર જ્ઞાની ને અજ્ઞાનીની માન્યતામાં રહેલો છે. એ જે પુણ્ય-પાપના પરિણામ જ્ઞાનીને આવે તેના નિમિત્તે કિંચિત્ પુણ્ય-પાપ બંધાય, પણ ખરેખર તો એ જે વિકલ્પ આવ્યો છે તેનો અને એનાથી જે પુણ્ય-પાપ બંધાણું તેનોય જ્ઞાની સ્વામી થતો નથી, એ તો બન્નેનો જ્ઞાતા રહે છે, બન્નેનેય પરજ્ઞેય તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાનીને આત્મદ્રષ્ટિ છે નહિ, એ તો હું બીજાને સુખી-દુઃખી કરી શકું છું એમ માને છે અને તેથી તેનો એ અધ્યવસાય બંધનું-દીર્ઘસંસારનું કારણ બને છે.
અહા! જીવને સંસારમાં ભમતાં ભમતાં અનંતકાળ ગયો, એમાં અનંતવાર એને મનુષ્યપણું આવ્યું ને અનંતવાર એણે મુનિવ્રત ધારણ કર્યાં, પાંચમહાવ્રત પાળ્યાં; પણ અરેરે! ભગવાન સર્વજ્ઞદેવે કહેલા આ અલૌકિક તત્ત્વનું જ્ઞાન ન કર્યું. એણે આત્મજ્ઞાન ન કર્યું!
અહી કહે છે-પર જીવોને હું સુખી-દુઃખી કરી શકું છું અને પર જીવો મને સુખી- દુઃખી કરી શકે છે-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જ્ઞાનીને એવો વિકલ્પ આવે પણ એનો એ કર્તા ન થાય. એ તો એમ યથાર્થ માને કે પર જીવને પહોંચતું સુખ-દુઃખ તેના પુણ્ય-પાપના ઉદયને કારણે છે, એમાં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્તમાત્ર છું.
ભાઈ! બીજાને આહાર પાણી દઈ શકું, ઔષધાદિ દઈ શકું-એવી જો તારી માન્યતા છે તો પૂછીએ છીએ કે-શું એ આહાર-ઔષધાદિ પદાર્થો તારા ચૈતન્ય-સ્વરૂપમાં છે? શું તું એ જડપદાર્થોનો સ્વામી છે કે તું એ બીજાને દઈ શકે? ભાઈ! તું જુદો, એ પદાર્થો (આહારાદિ) જુદા ને તેનો લેનાર (જીવ) જુદો; બધું જુદેજુદું છે ત્યાં કોણ કોને દે અને કોણ લે? ભાઈ! તારી માન્યતા અજ્ઞાન છે બાપા!
પ્રશ્નઃ– પણ ગરીબનાં આંસુ તો લૂછવાં ને?
ઉત્તરઃ– એ કોણ લૂછે ભાઈ? એ પરદ્રવ્યને કોણ કરે બાપા? બહુ ઝીણી વાત ભાઈ! જ્યાં પરમાણુ-પરમાણુ પોતાના કાળે પલટીને પોતાની નિયત પર્યાયરૂપે સ્વયં પરિણમે ત્યાં બીજો શું કરે? બીજો એને કેમ પરિણમાવે? બીજો બીજાને પરિણમાવે એ સિદ્ધાંત જ નથી ભાઈ! આ શરીર છે ને! આમ હાથમાં રોટલો લીધો હોય ત્યાં