સર્વજ્ઞ પરમાત્માને લાગુ પડે છે તે જ નામ અનંત અનંત સ્વભાવોથી સંયુક્ત ત્રિકાળી, ધ્રુવ, ભગવાન આત્માને લાગુ પડે છે.
કળશ ટીકાકારે તો આત્માને ઉપાદેય ગણીને ત્યાં નિશ્ચયથી આત્માને લીધો છે. અંતરમાં નિશ્ચયનું લક્ષ છે તેથી વ્યવહારની સાથે નિશ્ચયની વાત કરી છે. પરને ઉપાદેય કરે, પર્યાયને ઉપાદેય કરવા જાય, કે ભેદને ઉપાદેયને કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. શુદ્ધ, પૂર્ણાનંદ ભગવાનને ઉપાદેય કરતાં નિર્વિકલ્પતા થાય છે. અહીં (સમયસારમાં) સર્વજ્ઞ વીતરાગ પર્યાયપણે પ્રગટ છે તેમને લેવામાં આવ્યા છે. બેય વાત (અપેક્ષાએ) બરાબર છે.
તે સર્વનામો કથંચિત્ -તે તે અપેક્ષાએ -સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે. અજ્ઞાનીઓને એકને જુદાં જુદાં નામ આપવામાં વિરોધ આવે છે. પણ સ્યાદ્વાદીઓને વિરોધ નથી. માટે જેવી વસ્તુ છે તેમ તેને સમજવી જોઈએ.
સૌ–જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ–ભૂપ.
જે નિજ અનુભવથી પ્રગટ થાય છે, ચૈતન્ય જેનું સ્વરૂપ છે, બધાને જાણવાનો જેનો સ્વભાવ છે, સૌનો જે રાજા છે એવા સમયસારને હું જાણીને નમું છું આમાં ‘નમઃ સમયસારાય’ નો આખો પ્રથમ કળશ ટૂંકામાં આવી જાય છે.