Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2752 of 4199

 

૨૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે, કેમકે દર્શનમાં-શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધાણો છે; શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન શુદ્ધ આત્મા હેતુ-આશ્રય થયો છે. આ નિશ્ચય શ્રદ્ધાન વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહા! જેમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને તેનો હેતુ-આશ્રય શુદ્ધ આત્મા જ હોય છે. સમજાણું કાંઈ...? તેથી અહીં કહ્યું કે ‘શુદ્ધ આત્મા દર્શન છે.’

પ્રશ્નઃ– પ્રભુ! એક કોર સમકિતની પર્યાય ને શુદ્ધ આત્મા-બે જુદી ચીજ કહો છો અને આત્મા (-દ્રવ્ય) પર્યાયનો દાતા નથી એમ કહો છો (જુઓ, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, છંદ ૧૯) અને બીજી કોર અહીં ‘શુદ્ધ આત્મા દર્શન છે’ -એમ કહો છો; તો આ બધું કેવી રીતે છે?

સમાધાનઃ– ભાઈ! એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા (ત્રિકાળી દ્રવ્ય) આવતો નથી, અને પર્યાય આત્માથી (દ્રવ્યથી) થતી નથી પણ પોતાના ઉપાદાનની જાગૃતિથી સ્વતઃ થાય છે. સમ્યગ્દર્શન ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માએ પ્રગટ કર્યું છે એમ નથી પણ સમ્યગ્દર્શનની પર્યાયનો આશ્રય-હેતુ-કારણ-નિમિત્ત શુદ્ધ આત્મા (ત્રિકાળી દ્રવ્ય) છે તેથી ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદ કરીને કહ્યું છે. વસ્તુસ્થિતિએ તો દ્રવ્ય ને પર્યાય બન્ને સ્વતંત્ર છે.

उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ -એમ કહ્યું છે ને? એ ત્રણેય સ્વયં સત્ છે એમ વાત છે. એક સત્ બીજા સત્નો પરમાર્થે હેતુ નથી. સમ્યગ્દર્શનનું આશ્રયરૂપ કારણ-હેતુ દ્રવ્ય છે એ જુદી વાત છે, પણ આત્માથી (દ્રવ્યથી) સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી.

સમ્યગ્દર્શનમાં આત્મા ફક્ત શ્રદ્ધાણો છે, દર્શનનો શુદ્ધ આત્મા આશ્રય-નિમિત્ત છે માટે ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ...?

હવે આમાં ઓલા વ્રત, તપ, ભક્તિ કરવાવાળાને કઠણ લાગે એટલે એમ થાય કે આવો ધર્મ ને આવી વ્યાખ્યા! પણ ભાઈ! વીતરાગનો મારગ અલૌકિક છે, લોકોથી જુદો છે બાપુ! સમ્યગ્દર્શનનું ઉપાદાન તો સમ્યગ્દર્શનની પર્યાય પોતે છે અને એમાં નિમિત્ત- આશ્રય-હેતુ ત્રિકાળી ભગવાન શુદ્ધ આત્મા છે તથા એમાં આખો ભગવાન આત્મા શ્રદ્ધાય છે તેથી કહ્યું કે ‘શુદ્ધ આત્મા દર્શન છે.’ આવી વાત છે!

ગજબ વાત છે પ્રભુ! અહીં શું કહેવું છે? કે-ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે શુદ્ધ આત્મા તે શ્રદ્ધાની પર્યાયમાં આવતો નથી, પણ એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળીનું જેટલું (પરિપૂર્ણ) સામર્થ્ય છે તેની શ્રદ્ધા-પ્રતીતિ આવી જાય છે. અને તે પર્યાયનો શુદ્ધ આત્મા (ત્રિકાળી) આશ્રય-નિમિત્ત છે માટે ‘શુદ્ધ આત્મા દર્શન છે’ -એમ અહીં કહ્યું છે.