Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2813 of 4199

 

સમયસાર ગાથા ર૮૩ થી ર૮પ ] [ ૩૩૩ રાગથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થવું-એ સાર છે. બાકી દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના રાગ એ કાંઈ કરવાયોગ્ય કર્તવ્ય નથી. જેને છોડવું છે તે કરવા યોગ્ય કેમ હોય?

અહાહા...! પરદ્રવ્ય નિમિત્ત અને એના લક્ષે થતા રાગાદિભાવો નૈમિત્તિક એમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને બેયનો ભગવાનના ઉપદેશમાં નિષેધ કર્યો ને ભગવાન આત્માને અવિકારી અકારક સ્વભાવમાં સ્થાપ્યો. હવે કહે છે-જો એમ ન હોય તો આત્મા પોતે સ્વભાવથી જ કારક ઠરી જાય એવો દોષ આવે; ને જો તે કારક ઠરે તો નિત્ય રાગાદિ વિકાર જ કર્યા કરે, દુઃખી જ થયા કરે, કદીય દુઃખથી મુક્ત થઈ શકે નહિ.

‘માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિનો અકારક જ છે- એમ સિદ્ધ થયું.’

આ શું કીધું? કે પરદ્રવ્ય જ આત્માને વિકારનું નિમિત્ત-કારણ છે, સ્વદ્રવ્ય નહિ. અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદરસકંદ પ્રભુ આત્મા વિકાર થવામાં નિમિત્તકારણ નથી પણ પરદ્રવ્ય જ એને વિકારનું નિમિત્ત છે. એને પરદ્રવ્ય તરફ લક્ષ જાય છે માટે વિકાર થાય છે, માટે પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત છે. અષ્ટપાહુડમાં આવે છે કે- ‘परदव्वादो दुग्गइ’ પોતાના સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યમાં લક્ષ જાય છે એ જ શુભાશુભ ભાવનું કારણ છે, એ જ જીવને દુર્ગતિનું કારણ છે.

‘પરદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો’ -જુઓ, આમાંથી કેટલાક એમ કાઢે છે કે આત્માને પરદ્રવ્ય રાગદ્વેષ કરાવે છે; પણ એમ માનવું બરાબર નથી. જ્યારે પોતે રાગાદિ ભાવ કરે ત્યારે એનું લક્ષ પરદ્રવ્ય-નિમિત્ત તરફ હોય છે બસ એટલું પરદ્રવ્યના લક્ષે પરિણમતાં રાગાદિ થાય છે માટે રાગાદિનું નિમિત્ત પરદ્રવ્ય છે એમ કહ્યું છે. મૂળ તો રાગનું સ્વામીપણું એને છે એ પરદ્રવ્ય છે, અને એનું (રાગનું) સ્વામીપણું જ ખરેખર એને વિકારનું કારણ છે. આ પ્રમાણે પરદ્રવ્ય જ આત્માને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનું કારણ-નિમિત્ત છે. આમ હોતાં આત્મા પોતે પોતાથી રાગાદિનો અકારક જ છે એમ સિદ્ધ થયું. જુઓ, આ ટીકાની શરૂઆતમાં કહ્યું હતું એ સિદ્ધ કર્યું.

આ રીતે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ રાગાદિનો અકારક જ છે. રાગાદિનું મૂળ કારણ તો પરવસ્તુનું નિમિત્તપણું ને સ્વામીપણું છે. રાગ ને રાગના લક્ષવાળા દ્રવ્યો-એ બે તરફનું સ્વામીપણું છૂટયું ત્યારે આત્મા સ્વભાવનો સ્વામી થયો અને ત્યારે તે રાગાદિનો અકારક ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા જણાયો. લ્યો, આનું નામ ધર્મ છે.