Pravachan Ratnakar (Gujarati). Gatha: 16.

< Previous Page   Next Page >


PDF/HTML Page 285 of 4199

 

* જીવ–અજીવ અધિકાર *
ગાથા–૧૬

दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं।
ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।। १६ ।।

दर्शनज्ञानचरिक्राणि सेवितव्यानि साधुना नित्यम्।
तानि पुनर्जानीहि क्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।

હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છેઃ-

દર્શન, વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.

ગાથાર્થઃ– [साधुना] સાધુ પુરુષે [दर्शनज्ञानचरिक्राणि] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [नित्यम्] સદા [सेवितव्यानि] સેવવાયોગ્ય છે; [पुनः] વળી [तानि क्रीणि अपि] તે ત્રણેને [निश्चयतः] નિશ્ચયનયથી [आत्मानं च एव] એક આત્મા જ [जानीहि] જાણો.

ટીકાઃ– આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે’. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી-આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.

ભાવાર્થઃ– દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનુંજ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો.