Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 311 of 4199

 

૩૦ ] [ ગાથા ૧૭-૧૮ તે હરામ (કુચારિત્ર). આત્માના આનંદમાં રમવું, નિજાનંદમાં રમવું એ ચારિત્ર છે. હવે લોકો કાંઈ ને કાંઈ ક્રિયા અને બહારનાં પંચમહાવ્રતાદિને મોક્ષનો માર્ગ-સાધન માને છે, પણ ભાઈ! એ કાંઈ સાધન નથી. પરંતુ નિમિત્તથી કથન કરીને કહ્યું છે. ત્રણ લોકનો નાથ જે સિદ્ધસ્વરૂપી પરમાત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય ત્યારે એમાં ઠરે. એ જ્ઞાયકસ્વરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ છે, એ ચારિત્ર છે. અહાહા! કહ્યું છે ને કેઃ-

“અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.”

કેટલાક કહે છે કે કાનજીસ્વામીનું આ બધું એકાન્ત છે. પણ એમ નથી. કારણ કે અહીં તો સમ્યક્ એકાન્ત સિદ્ધ કરે છે, કે એમાં (આત્મામાં) જ આચરણ કરવું. રાગનું આચરણ કરવું એમ નહીં. પહેલાં એની શ્રદ્ધામાં તો નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં ઠરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કાંઈ ચારિત્ર નથી. ઉપવાસ એટલે ઉપ નામ સમીપમાં-ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું-અનુભવ વડે વસવું. આત્મામાં અનુભવ વડે લીન થવું એ ચારિત્ર છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાયો એવો શ્રદ્ધયો કે આ અંદર સ્વરૂપથી દેખાયો તે આત્મા અને એમાં ઠરવું એનો અનુભવ કરવો તે ચારિત્ર. આવા અનુભવની મહોર-છાપ વિશે પાંચમી ગાથામાં આવે છે કે આત્માનો નિજવિભવ કેવો છે? “નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચૂર સંવેદનસ્વરૂપ સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે.” આવો આનંદનો અનુભવ તે આત્માનો સાક્ષાત્કાર છે. અનુભવ, અનુભવ એમ તો બીજા બધા અન્યમતીઓમાં પણ કહે છે પણ એ અનુભવ નથી.

આ પ્રમાણે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે’ અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, અને ત્યારપછી તેનું જ અનુચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. જે મોક્ષાર્થી થયો તેને મોક્ષ અવસ્થા સાધ્ય છે. એ રાગ વિનાની, કર્મ વિનાની નિર્મળ અવસ્થા છે. એ નિર્મળ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપની એ રીતે ઉપપત્તિ છે અન્યથા અનુપપત્તિ છે. એટલે એની પ્રાપ્તિનો આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ અનેકાન્ત છે. આનાથી પ્રાપ્તિ થાય અને વ્યવહારથી પણ પ્રાપ્તિ થાય એમ અનેકાન્ત નથી. આનાથી જ થાય અને બીજી રીતે ન થાય એ અનેકાન્ત છે.

છહઢાળામાં આવે છે કે “આતમ હિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકું કષ્ટદાન.”