Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3432 of 4199

 

સમયસાર ગાથા ૩૬૬ થી ૩૭૧ ] [ ૪૧૩ રાગદ્વેષ તે અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. અહીં કહે છે- પોતાના ગુણોનો ઘાત થતાં પરનો-પુદ્ગલાદિનો ઘાત થઈ જાય એમ નથી, તથા પરનો-પુદ્ગલાદિનો ઘાત થતાં પોતાના ગુણોનો ઘાત થઈ જાય એમ પણ નથી.

શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ટકે છે એમ છે નહિ. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! જુઓ, શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન-જ્ઞાન- ચારિત્ર-ધર્મો તો ટકી રહે; ત્યાં પુદ્ગલનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો વળી શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય, છતાં એ બહારની ક્રિયાથી મને લાભ છે એમ માને તેને પોતાના ધર્મોનો-દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થાય જ છે. અહાહા....! બહારમાં શરીરની-કાયોત્સર્ગ ને ઉપવાસ આદિ ક્રિયા ને વાણીની ક્રિયા એવી ને એવી થતી હોય છતાં અજ્ઞાની વિપરીતદ્રષ્ટિ જીવને પોતાના ગુણોનો ઘાત થાય જ છે. આવી વાત! કોઈને આકરી લાગે પણ આ સત્ય વાત છે.

બહારની પ્રવૃત્તિ જ દેખાય છતાં આનંદનો નાથ પ્રભુ આત્માની સ્વસન્મુખ પ્રતીતિ, જ્ઞાન ને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. આથી આ સ્પષ્ટ થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો તે આત્માના ધર્મો નથી. (કેમકે વ્રત, તપ આદિના અભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો નથી, ને તેમના સદ્ભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો જોવામાં આવે છે.) વાસ્તવમાં સ્વસ્વરૂપ શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્માની અંતર-દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે જ આત્માના ધર્મો છે; અને તેને બહારમાં શરીરની ને વ્રતાદિ રાગની ક્રિયાની કોઈ અપેક્ષા નથી.

અહીં તો એક કોર ભગવાન આત્મારામ પોતે સ્વ અને બીજી કોર આખું ગામ- શરીર, મન, વાણી, ઇન્દ્રિય, શુભાશુભ રાગાદિભાવ-એ બધુંય પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં, કહે છે, આત્માનો સ્વભાવ નથી. તેથી પરનો ઘાત થતાં પોતાના સ્વભાવનો-જ્ઞાનાદિ ગુણોનો ઘાત થતો નથી. અહાહા.....! જેમ ઘડાનો નાશ થતાં દીવાનો નાશ થતો નથી, ને દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી, તેમ, કહે છે-આ ભગવાન આત્મા જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ ચૈતન્યદીવો છે. તેના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્વિકલ્પ દશા થઈ તેનો, શરીરાદિરૂપ ઘડાનો ઘાત થવા છતાં, ઘાત થતો નથી; તથા શરીરની ક્રિયા ને રાગની ક્રિયા મારી છે એવી અજ્ઞાનમય માન્યતા વડે એના દર્શન-જ્ઞાન-ચારિત્ર- ગુણોનો ઘાત થાય છે તેવે પ્રસંગે એ શરીરાદિની ક્રિયાનો ઘાત થાય જ છે એમ હોતું નથી. અહો! આ તો જૈન પરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય અલૌકિક તત્ત્વ આચાર્યદેવે જાહેર કર્યું છે.