यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव ।
तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २२२।।
જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
શ્લોકાર્થઃ–
અચ્યુત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [बोध्यात्] જ્ઞેય પદાર્થોથી [काम् अपि विक्रियां न यायात्] જરા પણ વિક્રિયા પામતો નથી, [दीपः प्रकाश्यात् इव] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. [ततः इतः] તો પછી [तद्– वस्तुस्थिति–बोध–बन्ध्य–धिषणाः एते अज्ञानिनः] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [किम् सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयीभवन्ति] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)
ભાવાર્થઃ– જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીદ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે- ‘વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન- અવસ્થારૂપ કેમ રહેતો નથી?’ આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.