અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણવું-શ્રદ્ધવું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો’
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી, અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટુકડાનો પણ ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે, ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા...! તે નિજ આત્મ-બાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહ છુટી જાય છે. નિરાકુલ આનંદમા ઝુલનારા વીતરાગી સંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરંગમાં વિકલ્પ પણ નહિ. બાપુ! બીજી ચીજ તો શું-વસ્ત્રના ધાગાનો પણ પરિગ્રહ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
હા, પણ વસ્ત્ર છોડવાં તો પડે ને? છોડવાં શું પડે? નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન થઈ તેમાં જ રમણતા કરતાં વસ્ત્રાદિ સર્વ પરિગ્રહ સહજ છૂટી જાય છે. રાગરહિત આનંદની છઠ્ઠી ભૂમિકાની દશા જ એવી સહજ હોય છે કે વસ્ત્રાદિ તેના જ કારણે સહજ છૂટી જાય છે. પરવસ્તુને ગ્રહવી- છોડવી એ ખરેખર આત્મામાં ક્યાં છે? આત્મામાં પરવસ્તુનું તો ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ છે. આત્મા પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય છે. અહાહા...! આવો અલૌકિક મારગ વીતરાગ સર્વજ્ઞદેવનો! સમજે એનું તો શું કહેવું? એ તો ન્યાલ થઈ જાય.
અરે! લોકોએ કાંઈનું કાંઈ માન્યું-મનાવ્યું છે! શું થાય? પ્રભુના વિરહ પડયા! કેવળજ્ઞાનની ઉત્પત્તિ અહીં રહી નહિ, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન પણ આ કાળે લુપ્ત થઈ ગયાં, અને લોકોએ ઝઘડા ઊભા કર્યા! સંતો-દિગંબર મુનિવરો-કેવળીના કેડાયતીઓ કહે છે- પૂર્ણ જ્ઞાનાનંદ પ્રભુ આત્માની અંર્તદ્રષ્ટિ અને અનુભવ વિના સમ્યગ્દર્શન હોય નહિ અને સમ્યગ્દર્શનપૂર્વક સ્વરૂપમાં વિશેષ-વિશેષ લીનતા થવી તે ચારિત્ર છે. તે વિશેષ તો સાતમી ભૂમિકાથી હોય છે. અપ્રમત્ત દશામાં ચારિત્રની ઉગ્રતા હોય છે. પૂર્ણ સ્થિરતા ચૌદમા ગુણસ્થાને હોય છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો ચારિત્રની ઉગ્રતા અપ્રમત્ત દશામાં હોય છે એમ વાત છે. મુનિ છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે પંચમહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે પ્રમાદદશા છે. ત્યાં સુધી અપ્રમત્ત દશા ગણવામાં આવી નથી. ચોથે, પાંચમે, છઠ્ઠે જ્ઞાન-શ્રદ્ધાન અને યથા સંભવ સ્થિરતા હોય છે. પછી બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરે છે તે બીજા