અરે ભાઈ! પ્રત્યેક આત્મા પોતાનો પતિ-સ્વામી છે; બાકી પરનો પતિ-સ્વામી કોઈ હોઈ શકે નહિ; કેમકે પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આત્માને અસત્પણું છે.
આ બધા ઉદ્યોગપતિઓ કહેવાય છે એ તો સાચું ને? ના, એય સાચું નથી. ઉદ્યોગ નામ પુરુષાર્થ પોતાનો પોતામાં હાલે, પણ પરમાં શું હાલે? પરમાં કાંઈ એ ન કરે. અરે, મિથ્યા ભ્રમમાં જીવ એમ ને એમ ચાર ગતિમાં રખડી મરે છે. બાકી પરની અવસ્થાપણે તું થતો નથી તો સ્ત્રીનો પતિ ને ઉદ્યોગપતિ ક્યાંથી થઈ ગયો?
હા, પણ પોતાનો ૬૦-૭૦ વર્ષનો અનુભવ તો બાપ દીકરાને આપે કે નહિ? ધૂળેય આપે નહિ સાંભળને. એ રાગનો અનુભવ પોતાનો પોતાની પાસે રહે, પરને કોઈ દઈ શકે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કરે શું? આ શબ્દો નીકળે છે ને? તે પુદ્ગલના સ્કંધની અવસ્થા છે; આત્મા તે અવસ્થાને કરે એમ ત્રણકાળમાં બની શકે નહિ. અરે! જેને અંદર વસ્તુનું-આત્માનું પરથી ભિન્નપણું ભાસ્યું નથી તેને આત્મા-પોતે શું છે, અને પોતાનું હોવાપણું-ન હોવાપણું શું છે એની ખબર નથી. સાચું જ્ઞાન થયે, મારી અવસ્થા પરથી છે, ને હું પરપણે છું એમ એને ભાસતું નથી. ભાઈ! તારી દશામાં પરદશાપણે થવાની તાકાત જ નથી. જેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી આત્મા અસત્ છે તેમ પરના સ્વકાળથી અર્થાત્ પરની પર્યાયથી આત્મા અસત્ છે, અને પોતાથી સત્ છે. તેથી પરનું કરવા આત્મા પંગુ-પાંગળો છે. આવી વાત! સમજાણું કાંઈ.....?
હવે કહે છે- ‘અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતત્પણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે જ છે.)
જોયું? અનાદિ અનંત અખંડ એક દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે, અને સમયસમયની પલટતી પર્યાયપણે આત્મા અનિત્ય છે. આ રીતે, કહે છે, જ્ઞાનમાત્ર આત્મવસ્તુને તત્- અતત્ આદિ પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયમેવ પ્રકાશિત હોવાથી અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે જ છે.
પ્રશ્નઃ– ‘જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે તો પછી અર્હંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાન્તને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે?’
જુઓ, આ શિષ્યનો પ્રશ્ન છે કે -આત્મા જગતની એક અસ્તિ-હયાતીવાળી વસ્તુ છે તે જ્ઞાનમાત્ર છે એમ આપ કહો છો, અને જ્ઞાનમાત્ર કહેતાં જ તેને અનેકાન્ત સ્વયમેવ