અંતરંગમાં અનુભવે છે. ભાઈ! આમાં તો મિથ્યાદર્શનનો નાશ થઈ ધર્મ-સમ્યગ્દર્શન આદિ-કેમ થાય એની વાત છે. લ્યો.
‘એકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને- તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે;.....’
અહા! પોતાનું જે ટકતું તત્ત્વ તે પર્યાયમાં અનંત જ્ઞેયાકારોને જાણવાપણે થયું છે તે એનો-પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતાં, એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો તે પર્યાયનો નાશ કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
‘અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.’
શું કીધું? અનંતને જાણવું એ તો વસ્તુનો-પર્યાયનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું છે ત્યાં મલિનતા કેવી? જ્ઞાનમાં અનંતુ જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળજ્ઞાનમાં જણાય છે કે નહિ? અહીં મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં અનંતુ જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતુ જણાય છતાં પર્યાય તો એક જ્ઞાનરૂપ જ છે, જ્ઞેયરૂપ થતી નથી, અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાન્તી વસ્તુને-જ્ઞાનને સમ્યક્ પ્રકારે જાણે-અનુભવે છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો.
હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘प्रत्यक्ष–आलिखित–स्फुट– स्थिर–परद्रव्य–अस्तिता–वञ्चितः’ પ્રત્યક્ષ આલિખિત એવાં પ્રગટ (-સ્થૂલ) અને સ્થિર (-નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, ‘स्वद्रव्य–अनवलोकनेन परितः शून्यः’ સ્વદ્રવ્યને (-આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો ‘नश्यति’ નાશ પામે છે;......
શું કીધું આ? કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યો વડે મને ઠીક છે એમ માનનારા બધા મૂઢ, પશુ જેવા છે. અરે ભાઈ! એ સ્ત્રી-પુત્ર આદિ ચીજો થોડા