Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3942 of 4199

 

૨-ચિતિશક્તિઃ ૨૩

વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો-ગુણો તેમાં ભેગા આવી જાય છે. જ્ઞાનમાં આ અનંત ગુણનું રૂપ છે છતાં તે અનંત ગુણ બધા ભિન્ન ભિન્ન છે; અને અનંત ગુણ પ્રત્યેક ભિન્ન હોવા છતાં બધા મળી અખંડ અભેદ એક આત્મા છે. અહો! આવું વસ્તુનું અનેકાન્તમય સ્વરૂપ કોઈ અદ્ભુત અલૌકિક છે.

આ તો વીતરાગનો માર્ગ છે બાપુ! આ કોઈ સાધારણ ચીજ નથી; અંતર-અનુભવના મહાન પુરુષાર્થ વડે પ્રાપ્ત થાય એવી ચીજ છે. પણ અરે! પોતાના ત્રિકાળી સ્વરૂપને ભૂલીને અનાદિથી એણે પર્યાય ઉપર લક્ષ કર્યું છે! એક સમયની પર્યાયની પાછળ પૂરણ પરમાત્મતત્ત્વ અંદર પડયું છે, પણ અરે! એની દ્રષ્ટિના અભાવે એના ભવના અંત આવ્યા નહિ! અહા! ભાઈ! પંચમહાવ્રતાદિના ક્રિયાકાંડમાં મંદ રાગ કરે તો દેવના ભવ મળે, પણ ભવના અંત ન આવે. આવું બધું તો એણે અનંત કાળમાં અનંત વાર કર્યું છે, એ પહેલું-નવું નથી. અહાહા...! અંદર ભગવાન આત્મા અનંત શક્તિનો સાગર ચૈતન્ય નિધાન પ્રભુ છે તેની અંતઃદ્રષ્ટિ વડે આનંદનો અનુભવ આવે, નિરાકુળ શાંતિનો સ્વાદ આવે તે અપૂર્વ છે. અહાહા...! અંતઃપુરુષાર્થ જાગ્રત કરી સ્વરૂપમાં સ્ફુરાયમાન વીર્ય વડે અનંત ગુણની નિર્મળ પર્યાયના સ્વરૂપની રચના કરે તેને ભવના અંત આવી જાય છે. આવો મારગ છે.

અહાહા...! અંદર આત્મામાં એક વીર્યગુણ છે, આત્મબળ નામનો અંદર એક ગુણ છે. તે સ્ફુરાયમાન થવા વડે ચેતના ગુણના પરિણમનની સાથે બીજા અનંતા ગુણની નિર્મળ પરિણતિની તે રચના કરે છે. અહા! રાગની રચના કરે તે વીર્યગુણનું કાર્ય નહિ; દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભરાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહા! જેમ હીજડાને વીર્ય નથી તો તેને પ્રજોત્પત્તિ થતી નથી તેમ ભગવાન આત્માને ભૂલીને શુભાશુભ ભાવની રચના કરે તેને (-નપુંસકને) ધર્મની પર્યાયરૂપ પ્રજાની ઉત્પત્તિ થતી નથી.

ભાઈ! શુભાશુભ ભાવ થાય તે આત્માની ચીજ નથી, સ્વભાવપર્યાયની ઉત્પત્તિ થાય તે આત્માના વીર્યગુણનું કાર્ય છે, અને તે અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર કર્યે પ્રગટ થાય છે. અહા! ભગવાન આત્માનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળ ઉછળે છે. આ અંતઃસન્મુખ થઈ જે નિજ પરમાત્મદ્રવ્યનો સ્વીકાર કરે તેની વાત છે હોં, માત્ર ઉપર ઉપરથી હા પાડે એની આ વાત નથી. અરે ભાઈ! નિજ પરમાત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એક ચિત્સ્વભાવપણે અંતરંગમાં વિરાજે છે; પણ અજ્ઞાનીને એનો સ્વીકાર કયાં છે? એ તો અંતઃસન્મુખ થઈ એની દ્રષ્ટિ કરતાં એનો સ્વીકાર થાય છે અને ત્યારે એને જ્ઞાનમાત્ર ભાવની અંદર જીવત્વ, ચિતિ, દ્રશિ, વીર્ય આદિ અનંત શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ, ભક્તિ આદિ બધું થોથાં છે.

જુઓ, અહીં બીજી ચિતિશક્તિનું વર્ણન ચાલે છે. આત્મદ્રવ્યને કારણભૂત પહેલાં જીવત્વશક્તિ કહીને તેના ચાર-દર્શન, જ્ઞાન, આનંદ ને વીર્ય-ચૈતન્યભાવપ્રાણ કહ્યા. અહાહા...! આવા ચૈતન્યભાવપ્રાણ વડે જીવ અનાદિથી જીવે છે, જીવતો હતો ને અનંતકાળ જીવશે.

તો લોકો કહે છે ને કે-‘જીવો અને જીવવા દો’-આ ભગવાન મહાવીરનો સંદેશ છે. અરે જૈનો પણ રથયાત્રા પ્રસંગે સૂત્રો પોકારે છે કે-

“ભગવાન મહાવીરનો સંદેશ–
જીવો અને જીવવા દો.” આ શું છે?

અરે ભાઈ! ‘જીવવા દો’ એટલે બીજા જીવોનું જીવન આના હાથમાં છે-એવો ભગવાન મહાવીરનો સંદેશ નથી. બીજો બીજાને જિવાડે, અને બીજાનો જીવાડયો બીજો જીવે એ ભગવાન મહાવીરની વાણી નથી. કોઈ કોઈને જિવાડે કે હણે એ વસ્તુસ્વરૂપ નથી, અને એ ભગવાનની વાણી નથી. જીવમાં ત્રિકાળ જીવત્વ નામની શક્તિ છે, અને ત્રિકાળ ચૈતન્યભાવપ્રાણ વડે અનાદિ-અનંત જીવનું જીવન છે. અહા! આવી નિજ જીવનશક્તિને ઓળખી અંતર્મુખ નિરાકુલ જીવન જીવ જીવે તે યથાર્થ જીવન છે. અહા! આવું જીવન ‘પોતે જીવો ને સૌ કોઈ જીવો’-એવો ભગવાન મહાવીરનો સંદેશ છે, ઉપદેશ છે. સમજાણું કાંઈ...?

સમયસારની બીજી ગાથામાં ‘जीवो’ શબ્દ છે એમાંથી આચાર્યદેવે આ જીવત્વશક્તિ કાઢી છે, ને જીવત્વનું ચિતિશક્તિ લક્ષણ છે તેથી અહીં બીજી ચિતિશક્તિ કહી. અહાહા...’ આ જીવત્વશક્તિ, ચિતિશક્તિ ઇત્યાદિ શક્તિઓ છે