Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4013 of 4199

 

૯૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

‘ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ એવો જે વિશિષ્ટ (-ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ’ શું કહ્યું આ? અહાહા...! આત્મામાં આ કોઈ એવી શક્તિ નામ સ્વભાવ છે કે પ્રત્યેક સમયમાં ષટ્ગુણ, વૃદ્ધિહાનિ થાય છે અને તે સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ છે. ગજબની સૂક્ષ્મ વાત છે ભાઈ! અહાહા...! ષટ્ગુણવૃદ્ધિ ષટ્ગુણહાનિ અને સમય એક. એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય એવો જીવનો કોઈ અચિન્ત્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.

આ અગુરુલઘુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અગુરુલઘુત્વ સ્વભાવ અનંત ગુણમાં વ્યાપક છે. અગુરુલઘુત્વ ગુણ બીજા અનંત ગુણમાં છે એમ નહિ, પણ બીજા અનંત ગુણમાં અગુરુલઘુત્વ ગુણનું રૂપ છે. આ રીતે દર્શનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, જ્ઞાનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ચારિત્રની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ઇત્યાદિ. અહાહા...! આત્મામાં જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ પર્યાય થાય છે તેમાં પ્રત્યેકમાં ષટ્ગુણ હાનિવૃદ્ધિ થાય એવો અગુરુલઘુત્વ સ્વભાવ છે. આ કેવળીગમ્ય છે. પં. દીપચંદજીએ ‘ચિદ્-વિલાસ’ ગ્રંથમાં આ શક્તિનું વર્ણન કર્યું છે. સિદ્ધભગવાન છે તેમના વિષે ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ કહ્યું છે તે માત્ર ત્યાં દ્રષ્ટાંતરૂપ કથન છે. બાકી અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, વચનઅગોચર છે, તર્ક-અગોચર છે. (જુઓ, આલાપ પદ્ધતિ પૃ. ૮૯) ભાઈ! શ્રુતજ્ઞાનમાં જો બધું સમજાઈ જાય તો કેવળજ્ઞાનનો દિવ્ય મહિમા શું?

અહા! કેવળજ્ઞાનની પર્યાયમાં પણ એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. કેવળજ્ઞાન તો છે તેવું જ છે, ત્રણકાળ-ત્રણલોક સહિત લોકાલોકને જાણે છે; ષટ્ગુણ વૃદ્ધિહાનિ થતાં તેમાં કાંઈ વધ-ઘટ થતી નથી. અહા! આવો જ કોઈ અગુરુલઘુત્વ સ્વભાવ છે જે ભગવાન સર્વજ્ઞદેવે કહ્યો છે ને પરમાગમમાં બતાવ્યો છે. આ વાત કાંઈ તર્કથી- યુક્તિથી પમાય એમ નથી; તે આગમપ્રમાણથી માનવી જોઈએ.

હવે જેને ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિની વાતમાં પર્યાયની પૂર્ણતા માનવી કઠણ પડે છે તેને આ ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ સમજવું મુશ્કેલ પડે એવી આ વાત છે. કહે છે-એક સમયની પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. ભલે એક સમયની ક્ષાયિક સમકિતની કે ક્ષાયિક જ્ઞાનની પર્યાય હો, તો પણ તેમાં એક સમયમાં આ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે એવો જીવનો કોઈ અચિન્ત્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.

એક સમયની પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે તે આ પ્રમાણેઃ- (૧) અનંતગુણ વૃદ્ધિ (૨) અસંખ્યગુણ વૃદ્ધિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ (૪) અનંતભાગ વૃદ્ધિ (પ) અસંખ્યભાગ વૃદ્ધિ અને (૬) સંખ્યાતભાગ વૃદ્ધિ.

આ પ્રમાણે હાનિના છ બોલઃ (૧) અનંતગુણ હાનિ (૨) અસંખ્યગુણ હાનિ (૩) સંખ્યાતગુણ હાનિ (૪) અનંતભાગ હાનિ (પ) અસંખ્યભાગ હાનિ અને (૬) સંખ્યાતભાગ હાનિ.

આ પ્રમાણે એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિરૂપે અગુરુલઘુત્વ ગુણનું કોઈ સૂક્ષ્મ પરિણમન થાય છે અને તે કેવળીગમ્ય છે.

ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિમાં એમ કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી એવો એનો સ્વભાવ છે. એકેક ગુણની એકેક પર્યાયમાં ઘટ-વધ થતી નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં, દર્શનની પર્યાયમાં, આનંદની પર્યાયમાં, વીર્યની પર્યાયમાં, અનંત ચતુષ્ટયની પર્યાયમાં ને સિદ્ધની પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી. ભલે અલ્પ પર્યાય હો તો પણ તે ઘટ-વધ રહિત પરિપૂર્ણ છે એમ ત્યાં કહ્યું છે. ક્ષયોપશમ સમકિતની પર્યાય હો કે ક્ષાયિકની પર્યાય હો, મતિ-શ્રુતજ્ઞાન હો કે કેવળજ્ઞાનની પર્યાય હો, ચારિત્રની અલ્પ નિર્મળ પર્યાય હો કે પૂરણ વીતરાગતાની પર્યાય હો, તે એકેક પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે ને પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય ઘટ-વધ રહિત છે, માટે પૂર્ણ છે. અહા! આવી સૂક્ષ્મ ગંભીર વાત કેવળીના શાસન સિવાય કયાંય નથી. અહાહા...! તું કેવડો મોટો છો! ભગવાન! તને તારી મોટપની-પ્રભુતાની ખબર નથી. અહાહા...! જેની પ્રભુતામાં કયાંય ઘટ-વધ થતી નથી એવો ભગવાન! તું પરિપૂર્ણ પ્રભુ છો.