૧૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કર્યા કે તેના ફળરૂપે સાતમી નરકમાં જવું પડયું. મિથ્યાત્વ સહિતના માઠા ભાવનું ફળ આટલું દુઃખ, અને આત્મજ્ઞાન પ્રગટ કરે, તત્ત્વદ્રષ્ટિ પ્રગટ કરે તો તેના ફળમાં અનંત કાળ અનંત આનંદ એને પ્રાપ્ત થાય છે. માટે ભાઈ, આવું આત્મજ્ઞાન તું શીઘ્ર પ્રગટ કર, આ તારા માટે અવસર છે.
પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે આત્મામાં અતત્રૂપ છે; આવી આત્માની અતત્ત્વશક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિરૂપ છે તે તત્ત્વશક્તિ, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિરૂપ છે તે અતત્ત્વશક્તિ છે. આ બન્ને પરસ્પર વિરુદ્ધ છે. સ્વપણે હોવું ને પરપણે ન હોવું એવી જીવમાં એક વિરુદ્ધધર્મત્વશક્તિ ત્રિકાળ છે. આથી પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે, ને દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. આ તત્ત્વશક્તિ અને અતત્ત્વશક્તિના પરિણમનમાં વીતરાગતાનું વેદન થાય છે; રાગના અભાવરૂપ અને વીતરાગભાવના સદ્ભાવરૂપ પરિણમન ત્યાં થાય છે. આનું નામ ધર્મ છે. આ સમજ્યા વિના વ્રત-તપ બધુંય વ્યર્થ છે.
અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે-ઘેટાં, બકરાં નગ્ન રહે છે. પશુ નગ્ન રહે, મુંડન કરાવે, પરિષહ સહન કરે એમાં તેમને શું આવ્યું? અંદર પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે એના ભાન વિના ખાલી બાહ્ય ત્યાગથી કાંઈ લાભ નથી.
અહા! સ્વસ્વરૂપ-એક જ્ઞાયકસ્વરૂપના અવલંબને પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપે ન પરિણમે એવી અતત્ત્વશક્તિ ભગવાન આત્મામાં છે; તેને યથાર્થ ઓળખી સ્વ-આલંબન કરવું તે હિતરૂપ છે, લાભ છે.
આ પ્રમાણે અહીં અતત્ત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ.’ અહા! આત્મામાં એકત્વ નામનો એક ત્રિકાળી ગુણ-સ્વભાવ છે. અનેક ગુણપર્યાયમાં-ભેદમાં વ્યાપક એવું એકદ્રવ્યમયતારૂપ એકપણું-એવો આત્માનો સ્વભાવ છે. કળશ ટીકામાં એક-અનેકપણું આવ્યું છે તે બીજી વાત છે. ત્યાં તો હું એક છું-અનેક છું એવા વિકલ્પો છોડાવ્યા છે. અહીં તો એક જ્ઞાયકમાત્ર વસ્તુ આત્મા છે. તેનો આશ્રય કરતાં એકત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે એ એકત્વ ગુણની વાત છે. ૪૭ નયમાં પણ એક-અનેક નય આવે છે. આમ ત્રણ પ્રકારે એક-અનેકનું વર્ણન આવે છેઃ-
૧. અહીં એકત્વ, અનેકત્વશક્તિની વાત છે. ૨. કળશ ટીકામાં એક-અનેકના વિકલ્પ છોડવાની વાત છે. ૩. પ્રવચનસારમાં નય અધિકારમાં એક-અનેક અપેક્ષિત ધર્મની વાત છે. જેમ અગ્નિનો ઢગ હોય તેમાં એકલું અગ્નિપણું છે, તેમ એક જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જ્ઞાન, લોકાલોકપ્રમાણ એકરૂપ જ્ઞાન અદ્વૈત છે. અદ્વૈત એટલે એક, બે નહિ, અનેક નહિ. વેદાંતી જે અદ્વૈત-એક કહે છે એ તો વિપરીત છે. જગતમાં કશું દ્વૈત નથી, બધું અદ્વૈત છે-એક છે-આમ વેદાંતી કહે છે તે તદ્ન વિપરીત-જૂઠી વાત છે.
પ્રવચનસાર, નયપ્રજ્ઞાપન અધિકારમાં અદ્વૈત-દ્વૈતનય કહ્યા છે. ત્યાં કહ્યું છેઃ- “આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય-અદ્વૈતનયે (જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે), મોટા ઇંધન સમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે.”-૨૪
“આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય દ્વૈતનયે, પરના પ્રતિબિંબોથી સંયુક્ત દર્પણની માફક, અનેક છે. (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈતરૂપ નયે અનેક છે, જેમ પર-પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ.)”-૨પ
અગ્નિ ઇંધન સાથે એકરૂપ થઈ જાય છે તેમ આત્મદ્રવ્ય, જ્ઞાનજ્ઞેય અદ્વૈતનયથી એક છે. એટલે શું? જ્ઞેયનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એક છે. જ્ઞેય તો જ્ઞેયમાં રહી ગયા, પણ જ્ઞેયનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે-એમ અદ્વૈત પણ છે.