Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4119 of 4199

 

૨૦૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

અહા! જેણે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. આત્મામાં સુખ નામનો ગુણ છે ને! અહાહા...! અંદર એકલો સુખનો સમુદ્ર છે. તેમાં દ્રષ્ટિ કરતાં સુખ પર્યાય પ્રગટ થઈ તે પોતા દ્વારા પોતાને દેવામાં આવે છે, અને પોતે તે સુખની પર્યાયને લેવાની પાત્રતામય છે તેથી લેનાર પણ પોતે છે. બહારમાં કોઈની સહાય નહિ, અપેક્ષા નહિ. ભાઈ, વિષયોમાંથી સુખ આવે છે એમ તું માને છે એ કેવળ ભ્રમ છે. જો વિષયો સુખ આપે અને તને તે પહોંચે એમ હોય તો તને પરાધીનતા આવે, ને પરાધીનને સુખ કેવું? પરાધીનને સ્વપ્ને પણ સુખ ન હોય. સ્વાધીનપણે આત્મા પોતે જ પોતાના સુખનો દાતાર છે, ને પોતે જ પાત્ર થઈને લેનાર છે. આવી જ વસ્તુ-વ્યવસ્થા છે.

સમયસારની ૭૨મી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. આનંદની દશામાં લીન મુનિરાજ કહે છે-સાંભળ ભગવાન! તારી પર્યાયમાં પામરતા છે, વસ્તુમાં પામરતા નથી. વસ્તુમાં અનંતી પ્રભુતા ભરી છે. અહાહા...! એકેક શક્તિ પૂર્ણ પ્રભુતાથી ભરી છે. જ્ઞાનની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. પોતાના દ્વારા તે પર્યાય દેવામાં આવે છે, અને પોતાના દ્વારા તે પર્યાય લેવામાં આવે છે. બન્નેનો સમય એક છે. દેનાર દાતા, અને લેનાર પાત્ર-બન્ને એક જ પર્યાયમાં છે. ગુરુ તેના દાતા નથી, શાસ્ત્ર તેનું દાતા નથી. દેવ તેના દાતાર નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર તો બાહ્ય નિમિત્તમાત્ર છે. તેમણે જ આ કહ્યું છે કે-તારામાં અક્ષય ભંડાર ભર્યો છે, તેમાં નજર કર તો ન્યાલ થઈ જઈશ. તારી નિર્મળ રત્નત્રય આદિ પર્યાયોનું તું જ દાતા છો. બીજું કોઈ નહિ ને તે નિર્મળ ભાવ લેવાની પાત્રતામય પણ તું જ છો.

અહો...! શક્તિનો અદ્ભુત ખજાનો પ્રભુ આત્મા છે. અજ્ઞાની જીવે દયા, દાનનો વિકલ્પ તે મને લાભદાયી છે એમ રાગની એકતાબુદ્ધિ વડે ખજાનાને તાળું દીધું છે, પણ રાગથી ભેદ કરી અંતર એકાગ્રતા કરતાં તાળું ખૂલી જાય છે ને તત્કાલ ખજાનામાં ગુણરત્નો ભર્યાં છે તે પ્રગટ થાય છે. અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ સર્વ ગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. અહા! તે નિર્મળ ભાવ જે પ્રગટ થયો તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, તેનો દાતાર પોતે છે, તે નિમિત્ત દ્વારા કે રાગ દ્વારા દેવામાં આવે છે એમ કદીય નથી. આ અનેકાન્ત છે. અંદર ઊંડો વિચાર કરે તો ખબર પડે કે-પૂર્વની નિર્મળ પર્યાય છે તે પણ વર્તમાન પર્યાયની દાતા છે એમ નથી ત્યાં બાહ્ય નિમિત્તાદિ મારા દાતાર-એ વાત જ કયાં રહે છે? સત્ય તો આવું છે ભાઈ! આવી વાત બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી. આ સાંભળી બીજાને દુઃખ થાય પણ શું કરીએ? બીજાને દુઃખ લગાડવાની આ વાત નથી, આ તો સત્યનું જ ઉદ્ઘાટન છે. ભાઈ, વિપરીત દ્રષ્ટિનું તને દુઃખ છે. વિપરીત દ્રષ્ટિ છોડી દે, તને મહાન લાભ થશે.

પ્રશ્નઃ– ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરુષો ગુરુ પ્રતિ વિનય-ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે?

ઉત્તરઃ– ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી-એ તો સત્ય જ છે. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા! શ્રી ગુરુ આવો વસ્તુસ્વભાવ દેશનાકાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંતઃપુરુષાર્થ પ્રગટ કરી અંતઃનિમગ્ન-સ્વરૂપ નિમગ્ન થઈ સાધકભાવના અંકુરા એવા સમકિતને ને આનંદને પ્રગટ કરી લે છે. હવે તેને વિકલ્પકાળે શ્રીગુરુ પ્રતિ બહુમાન અને વિનય-ભક્તિ અંદર હૃદયમાં ઊછળ્‌યા વિના રહેતાં નથી. સાધકદશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદની દશા થઈ તેને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય- ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે; તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે.

કોઈ આવી સાધકદશાને જાણે નહિ, ને ‘ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી’-એમ વિચારી શ્રીગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયાભાસી સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. અહો! આવો નિશ્ચય-વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદ્ભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની-ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમોદ ને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંતર્બાહ્ય વિવેકનો આવો મારગ છે ભાઈ! સમજાણું કાંઈ...?

ચાર પ્રકારનું દાન નિર્દોષભાવથી દેવું એ શુભભાવ છે. દાન લેનાર પાત્ર નિર્ગ્રંથ દિગંબર મુનિવર આદિ છે. સમ્યગ્દ્રષ્ટિને ભક્તિભાવે આહારાદિનું દાન દેવાનો ભાવ આવે તે શુભ છે. તથાપિ દાન દેવાનો શુભભાવ થાય તેવો આત્મામાં કોઈ ગુણ નથી. તે તો અવસ્થાનું વિપરીત કાર્ય છે. તેને શું લેવું-દેવું? ગુણનું કાર્ય તો આ છે કે નિર્મળ અવસ્થા પ્રગટી તે પોતે દીધી, ને પાત્રપણે પોતે લીધી. હવે આમાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ-પૂજા કરો-એમ અત્યારે પ્રરૂપણા ચાલે છે. તેને કહીએ છીએ કે એનાથી ધર્મ કદી ય નહિ થાય. એવો શુભભાવ આવે ખરો, સાધકને યથાસંભવ આવે જ આવે, પણ તે ભાવ ગુણની વિપરીત અવસ્થા છે. શુભભાવ લેવા-દેવાની ચેષ્ટા