સિદ્ધદશા થયે જ છૂટકો. ધવલમાં આવે છે કે-સ્વના આશ્રયે પ્રગટેલ સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે; એનો અર્થ શું? એ જ કે તેને અલ્પકાળમાં હવે કેવળજ્ઞાન થશે; કેવળજ્ઞાન હવે હાથવેંતમાં છે; જેમ ચંદ્ર સોળે કલાએ ખીલે તેમ અલ્પકાળમાં ભગવાન આત્મા સોળે કલાએ ખીલી કેવળજ્ઞાનપણે ઝળહળ દેદીપ્યમાન પ્રગટશે. આવી અદ્ભુત વાત!
હવે સરવાળો કરે છે કે-‘આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપેયપણું સાધે છે.’ લ્યો, ઉપાય-ઉપેયપણું, સાધક-સાધ્યપણું-બન્ને આત્માની અવસ્થાઓ હોવાથી આત્મવસ્તુમાં જ સમાય છે. વ્યવહાર હોય છે, ‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં’ એક કહ્યું, પણ એનો અર્થ વ્યવહારને જાણેલો-જાણવામાં આવેલો એમ થાય છે. ગ્રહણનો અર્થ જાણવું થાય છે. વ્યવહારને આદરવો એવો અર્થ અહીં છે જ નહિ. ગ્રહણ એટલે જાણવું-એવો અર્થ મોક્ષમાર્ગપ્રકાશકમાં કર્યો છે. સમયસાર ગાથા ૧૨ની ટીકામાં પણ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ભાઈ, આ તો તત્ત્વને યથાર્થ સમજી અંતરમાં ઉતરી જવાનો માર્ગ છે. આવો અવસર મળ્યો ને ન સમજ્યો તો કયારે સમજીશ? આ મનુષ્યપણું એમને એમ વિંખાણું (છૂટી ગયું) તો પછી અવસર નહિ આવે. હવે ટીકામાં વિશેષ કહે છે;-
‘આ રીતે બન્નેમાં (-ઉપાયમાં તેમ જ ઉપેયમાં-) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી.’ જુઓ, શ્રીમદ્ આચાર્ય અમૃતચંદ્રદેવ કહે છે-ભાઈ, સાંભળ. અંદર એક જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. તેમાં અંતર-એકાગ્ર થતાં, જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્થિરતા, પ્રભુતા ઇત્યાદિ એક સાથે પર્યાયમાં પ્રગટ થાય છે. અહા! આવી સ્વરૂપમાં રમણતારૂપ નિર્વિકલ્પ પરિણતિ તે ઉપાય નામ સાધકપણું છે. વ્યવહાર વચમાં હો, પણ તે સાધકપણું નથી. આ જે (બાર પ્રકારે) વ્યવહાર તપ છે તે સાધકપણું નથી; કેમ? કેમકે તેમાં આત્મા અનન્ય નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા છે, એનું સાધકપણું (ઉપાય) તે આનંદની પર્યાય છે, ને એનું સાધ્યપણું (ઉપેય) તેય પૂર્ણ આનંદની પર્યાય છે. અહાહા...! એ બન્ને રૂપ એકલા જ્ઞાનમાત્ર-ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માનું જ ભવન-થવાપણું છે; ઉપાય અને ઉપેયમાં-બન્નેમાં એક આત્મવસ્તુ જ અનન્ય છે, પરદ્રવ્ય કે રાગાદિ વ્યવહારનો વિકલ્પ તેમાં અનન્ય નથી. એટલે શું? કે દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે બાહ્ય વ્યવહાર છે તે નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. અહાહા...? ઉપાય એટલે મોક્ષમાર્ગ, ને ઉપેય એટલે એના ફળરૂપે પ્રગટ સિદ્ધદશા-એ બન્નેમાં, કહે છે, આત્મા જ અનન્ય છે.
વચલી ભૂમિકામાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, ને પંચમહાવ્રતાદિ રાગની મંદતાનો ભાવ હોય છે એટલું બતાવવા વ્યવહારની વાત કરી છે, પણ એ નિશ્ચયપણે સાધકપણું કે મોક્ષમાર્ગ છે એમ છે જ નહિ; કેમકે એમાં આત્મા-ધ્રુવ ચૈતન્યનું દળ અનન્ય નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં થોડી લીનતા-તેરૂપ જે મોક્ષમાર્ગ, ને પૂર્ણ લીનતા-તેરૂપ જે મોક્ષ-એ બન્નેમાં જ્ઞાનમાત્ર શુદ્ધ ચૈતન્યવસ્તુ જ અનન્ય અર્થાત્ એકમેક છે. સાથે રાગ છે એ તો બંધભાવ છે, સાધકપણાને વિઘ્નરૂપ છે, ઝેર છે. નિર્મળ રત્નત્રય તે અમૃત છે, ને રાગ તો ઝેર છે; એનાથી (-રાગથી) અમૃતમય એવો મોક્ષમાર્ગ કેમ થાય? ન થાય. આવી અપૂર્વ વાત છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુ જ આવી છે.
બહારમાં તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને પૂજા-ભક્તિ કરો એટલે થઈ ગયો ધર્મ એવું સાંભળવા મળે છે, પણ એવી પ્રરૂપણા સત્ય નથી, કેમકે એ બધા વિકલ્પમાં ચૈતન્ય વસ્તુ અનન્ય-તન્મય થતી નથી. નિશ્ચયની સ્થિરતા હોય છે ત્યાં સાથે આવો વ્યવહાર હોય છે તેને ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં તે ધર્મ નથી. ધર્મ નથી તેને ઉપચાર કરીને ધર્મ કહેવો તે વ્યવહારનય છે, પણ એમાં ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે, મહાન ભૂલ છે. વ્યવહાર સુધરે તો નિશ્ચય સુધરશે એમ કેટલાક માને છે, પણ એ બરાબર નથી, અહીં એની ના પાડે છે. શું કોલસો કાળો છે તે ધોવાથી સફેદ થાય? ન થાય. એ તો કોલસાને બાળી દે તો ઉજ્જ્વળ સફેદ થાય; તેમ વ્યવહારને (સ્વના આશ્રયે) બાળી મૂકે તો ઉજ્જ્વળ પવિત્ર મોક્ષમાર્ગ ને મોક્ષની દશા થાય.
ભાવ પાહુડ, ગાથા ૮૩માં આવે છે કે-જિનશાસનમાં જિનેન્દ્રદેવે આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં તથા વ્રતસહિત હોવું એમાં ‘પુણ્ય’ છે, તથા મોહ-ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ‘ધર્મ’ છે. ત્યાં એના ભાવાર્થમાં