Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 4199

 

પ૪ [ સમયસાર પ્રવચન

અહીં આ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની વાત નથી. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખો જીવ પદાર્થ કેવો છે તે સિદ્ધ કર્યું છે. પછી જીવનું સ્વસમય-પરસમયરૂપ પરિણમન સ્પષ્ટ કર્યું છે.

જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે.

(૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ-વ્યય-

ધ્રુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા
થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે.

(૨) દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. (૩) અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણપર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણપર્યાયવાળી છે. (પ) તેનું સ્વ-પરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે. જોયું? જ્ઞાનમાં અનંતને

જાણે -લોકાલોકનેજાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે.

(૬) વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય-

ગુણસ્વરૂપ છે.

(૭) અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો

નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તોપણ પોતામાં જ રહે છે, પરમાં જતો
નથી-પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે.

હવે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે.

જે શુદ્ધચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમભાવરૂપ અશુદ્ધભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દ્રષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દ્રષ્ટિ-રુચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદ્ભૂતવ્યવહારપ્રાણ છે. એ સ્વસમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. આ ધર્મકથા છે, ભાઈ! આ સિવાય બધી વિકથા છે. આકરી વાત લાગે પણ વસ્તુસ્વરૂપ જેમ છે તેમ છે.

આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સદ્ભૂત વ્યવહાર છે. દર્શનજ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યક્રત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે.