અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ- તેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ- સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.
ભાવાર્થઃ– આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે.
હવે આચાર્ય કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ.
પ્રવચન નંબર ૧૨–૧૪, તારીખ ૧૧–૧૨–૭પ થી ૧૩–૧૨–૭પ
તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજવૈભવ વડે દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે પરથી ભિન્ન અને સ્વથી એકત્વરૂપ એવા આનંદમૂર્તિ ભગવાન આત્માને નિજવૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું અર્થાત્ દેખાડવામાં આવે તો સ્વાનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું. માત્ર ઉપર-ઉપરથી હા પાડજે એમ કહ્યું નથી, પણ સ્વસંવેદનજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરી પ્રમાણ કરજે એમ કહ્યું છે. આ આત્મા