Pravachansar (Gujarati). Shastrona arth karavani paddhati.

< Previous Page   Next Page >


Page 506 of 513
PDF/HTML Page 537 of 544

 

પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ

વ્યવહારનય સ્વદ્રવ્ય -પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ -કાર્યાદિકને કોઇના કોઇમાં મેળવી નિરુપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરુપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.

પ્રશ્નઃ—જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ ?

ઉત્તરઃ—જિનમાર્ગમાં કોઇ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું, તથા કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’’ એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરુપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.

પ્રશ્નઃ—જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આયો ? એક નિશ્ચયનયનું જ નિરુપણ કરવું હતું ?

ઉત્તરઃ—એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આયો છે કે— જેમ કોઇ અનાર્ય -મલે.છને મલે.છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઇ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે—એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવાયોગ્ય નથી.

—શ્રી મોક્ષમાર્ગપ્રકાશક