Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 160 of 186
PDF/HTML Page 172 of 198

 

૧૬૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [लोकवृषबोधिसंवरनिर्जराः] લોક, ધર્મ, બોધિદુર્લભ, સંવર અને નિર્જરા [एता द्वादशभावना] એ બાર ભાવનાઓનું [सततम्] નિરંતર [अनुप्रेक्ष्याः] વારંવાર ચિંતવન અને મનન કરવું જોઈએ.

ટીકાઃ– ‘अध्रुवं अशरणं जन्म एकत्वं अन्यता अशौचं आस्रवः संवरः निर्जरा लोक बोधि वृषः इति द्वादश अनुप्रेक्ष्याः सततं भावनीयाः।’

અર્થઃ– ૧. અનિત્ય ભાવના–સંસારની સમસ્ત વસ્તુઓ શરીર, ભોગાદિ બધું નાશવાન છે, આત્મા નિત્ય છે, ધ્રુવ છે, માટે અધ્રુવ વસ્તુને છોડીને ધ્રુવ વસ્તુમાં ચિત્ત લગાવવું એને જ અનિત્ય ભાવના કહે છે.

૨. અશરણ ભાવના–આ જગતમાં કોઈ કોઈને શરણ નથી, બધા પ્રાણી કાળને વશ છે, કાળથી બચાવનાર કોઈ નથી. વ્યવહારનયથી ચાર શરણ છે–અર્હંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને જૈનધર્મનું શરણ, અને વાસ્તવમાં નિશ્ચયનયથી કેવળ પોતાનો આત્મા જ શરણ છે, બીજું નહિ. એવો (સ્વસન્મુખતા–સહિત) વિચાર કરવો તે આ બીજી અશરણ ભાવના છે.

૩. સંસાર ભાવના–સંસાર બહુ દુઃખરૂપ છે, ચારે ગતિમાં કયાંય પણ સુખ નથી. નરક ગતિમાં તો પ્રગટરૂપ તાડન, ભેદન–છેદન, ઇત્યાદિ ઘણાં દુઃખ છે, તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, ઘણો ભાર લાદવો વગેરે દુઃખ છે. મનુષ્ય ગતિમાં પણ અનેક ચિંતા, વ્યાકુળતા વગેરે ઘણાં દુઃખ છે, દેવગતિમાં પણ વિષય–વાસના છે અને નાના દેવો મોટા દેવોનો વૈભવ જોઈને દુઃખી થાય છે, દેવોનું આયુષ્ય લાંબું અને દેવાંગનાઓનું આયુષ્ય ટૂંકું હોવાથી વિયોગમાં અવશ્ય દુઃખ થાય છે. મરણના છ માસ અગાઉ જ્યારે માળા કરમાવા લાગે છે ત્યારે અત્યંત ખેદ અને દુઃખ થાય છે વગેરે પ્રકારે દેવગતિમાં પણ ઘણાં દુઃખ છે. એક સુખ માત્ર પંચમગતિ અર્થાત્ મોક્ષમાં છે તેથી પ્રત્યેક પ્રાણીએ ચાર ગતિરૂપ સંસારથી ઉદાસીન થઈને પંચમગતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. આવું હંમેશાં ચિંતન કરતા રહેવું તે ત્રીજી સંસાર ભાવના છે.

૪. એકત્વ ભાવના–આ આત્મા સદા એકલો જ છે. જન્મમાં તથા મરણમાં એકલો છે, તેનો કોઈ સંગી નથી. તે સુખ ભોગવવામાં એકલો, સંસારભ્રમણ કરવામાં એકલો, નિર્વાણ થવામાં પણ એકલો. સદા આત્મા એકલો જ રહે છે, તેનો સાથી કોઈ નથી એવું હંમેશાં વિચારવું તેને એકત્વ ભાવના કહે છે.

પ. અન્યત્વ ભાવના–સંસારના જેટલા પદાર્થો છે તે બધા જુદા જુદા છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળેલો નથી, મન, વચન, કાયા એ બધાં આત્માથી જુદાં છે.