૧૪૮સમાધિતંત્ર
ધર્મની શરૂઆત ચોથા અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી થાય છે. તે પહેલાં જીવની મિથ્યાત્વ અવસ્થા હોય છે. આ અવસ્થામાં જે વ્રત – તપાદિ કરવાનો વિકલ્પ આવે છે તે બધાં બાલ તપ ગણાય છે.૧
અવિરત સમ્યગ્દ્રષ્ટિઓને, દેશવિરત શ્રાવકોને અને મુનિઓને ભૂમિકાનુસાર શુભ – અશુભ વિકલ્પો આવે છે, પરંતુ તેમને ભેદ – વિજ્ઞાન હોવાથી તે વિકલ્પોને તેઓ શ્રદ્ધા-જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ માનતા નથી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં તેમને વિઘ્નરૂપ માને છે અને તે છોડવા માટે પોતાની ભૂમિકાનુસાર પ્રયત્ન કરે છે.
‘જેને (સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને) જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે (શુદ્ધિ છે – શુદ્ધભાવ છે, રાગરહિત અંશ છે) તેટલે અંશે તેને બંધ નથી; જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે.
તેને જેટલે અંશે સમ્યગ્જ્ઞાન છે તેટલે અંશે બંધ નથી અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે;
તેને જેટલે અંશે સમ્યક્ચારિત્ર છે તેટલે અંશે તેને બંધ નથી અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે.’’૨
આથી સ્પષ્ટ છે કે સમ્યગ્દ્રષ્ટિને ભૂમિકાનુસાર જે પૂજા, ભક્તિ, આદિ તથા વ્રત, મહાવ્રત, નિયમાદિનો શુભભાવ આવે છે તે પણ આસ્રવ – બંધનું કારણ છે, પણ તે સંવર – નિર્જરાનું કારણ નથી. સંવર – નિર્જરાનું કારણ તો શુભ અંશો સાથે જે શુદ્ધ અંશ છે તે જ છે. જે શુભ રાગ બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ કદી હોઈ શકે નહિ. માટે વ્રતાદિના શુભ વિકલ્પોને પણ અવ્રતાદિ અશુભ વિકલ્પોની જેમ મોક્ષમાર્ગમાં હેય – છોડવા યોગ્ય ગણવામાં આવ્યા છે. ૧. જુઓ – શ્રી સમયસાર ગાથા – ૧૫૨, ૧૫૩. २.येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१२।।
येनांशेन ज्ञान तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१३।।
येनांशेन चारित्रं तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।।२१४।। (પુરુષાર્થસિદ્ધ્યુપાય-ગા. ૨૧૨ થી ૨૧૪)