Samaysar (Gujarati). Gatha: 2.

< Previous Page   Next Page >


Page 7 of 642
PDF/HTML Page 38 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
तत्र तावत्समय एवाभिधीयते
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण
पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।।२।।

ભાવાર્થગાથાસૂત્રમાં આચાર્યે ‘वक्ष्यामि’ કહ્યું છે તેનો અર્થ ટીકાકારે ‘वच् परिभाषणे’ ધાતુથી ‘પરિભાષણ’ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’ અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યુંપરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક ‘પરિભાષા’ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.

આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને ‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો અને ‘શુદ્ધ આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.

આ ગ્રંથનાં અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.

પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે

જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો;
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨.