કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्रव्यमेव कलयन्ति ये तु ते ।
शुद्धबोधविधुरान्धबुद्धयः ।।२२१।।
હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ये तु राग-जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति] જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી,) [ते शुद्ध-बोध-विधुर-अन्ध-बुद्धयः] તેઓ — જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા) — [मोह-वाहिनीं न हि उत्तरन्ति] મોહનદીને ઊતરી શકતા નથી.
ભાવાર્થઃ — શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શકતા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ કે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે — એમ કથંચિત
માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ૨૨૧.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ’, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન ( – સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. — આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ —