Atmadharma magazine - Ank 041
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
ફાગણઃ ૨૪૭૩ઃ ૯૯ઃ
કરે તેવું તેને નિમિત્ત કહેવાય. આવી વસ્તુ સ્વભાવની સ્વાધીનતાનો ઢંઢેરો કુંદકુંદ ભગવાન અને અનંત કેવળીઓ
જાહેર કરી ગયા છે. અજ્ઞાનીની સંયોગી દ્રષ્ટિ છે, જ્ઞાનીની સ્વભાવદ્રષ્ટિ છે. અજ્ઞાની કહે છે યોગ્ય નિમિત્ત હોય તો
કાર્ય થાય. જ્ઞાની કહે છે કે વસ્તુમાં પોતાના સ્વભાવથી કાર્ય થાય ત્યારે અનુકુળ નિમિત્ત હોય જ. દરેક જડ કે ચેતન
પદાર્થની અવસ્થા તેની પોતાની તાકાતથી–(યોગ્યતાથી) થાય છે. વસ્તુની શક્તિ ત્રિકાળી હોય છે અને યોગ્યતા
એક સમય પૂરતી હોય છે.
જે સમયે જેવી યોગ્યતા હોય ત્યારે તેવું કાર્ય અવશ્ય થાય છે. દ્રષ્ટાંત તરીકે માટી દ્રવ્યને
અન્ય પદાર્થોથી જુદું બતાવવા એમ કહેવાય કે માટીમાં ઘડો થવાની લાયકાત છે. પણ જ્યારે માટી દ્રવ્યની જ
પર્યાયનો વિચાર કરવાનો હોય ત્યારે તો, માટીમાં જે સમયે ઘડો થવાની લાયકાત થાય છે ત્યારે જ તેમાં ઘડારૂપ
અવસ્થા થાય છે. ત્યાર પહેલાં તેનામાં પીંડરૂપ વગેરે અવસ્થાની લાયકાત હોય છે. આ રીતે, કાર્ય થવાની લાયકાત
એક જ સમય પૂરતી હોવાથી ‘કુંભાર આવ્યા પહેલાં માટીમાંથી ઘડો કેમ થયો નહિ’ એવા કોઈ પ્રશ્નનો અવકાશ
રહેતો નથી. તેમ આત્મામાં પણ દરેક પર્યાયની લાયકાત સ્વતંત્ર છે.
જે પર્યાયમાં પુણ્ય–પાપરૂપ વિકાર કરે છે તે પર્યાયમાં આત્માનો પુરુષાર્થ જ ત્યાં અટકી જાય છે. બીજી
પર્યાયમાં સ્વભાવદ્રષ્ટિના પુરુષાર્થથી તે લાયકાત ફેરવી નાંખે તો ફરી શકે છે. આ રીતે દરેક સમયની પર્યાય પણ
પારિણામિકભાવે સિદ્ધ થાય છે. પરપદાર્થો કારણ નથી તેમજ પૂર્વ પર્યાય કારણ નથી પણ તે જ સમયની લાયકાત
કારણ છે. કારણ–કાર્યમાં સમયભેદ નથી. વિકાર પર્યાય પણ પારિણામિકભાવે છે એમ નક્કી કર્યા પછી, નિમિત્તની
અપેક્ષાએ તેને ઉદયભાવ કહેવાય છે.
સમ્યગ્દર્શનમાં દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થો નિમિત્ત ક્યારે કહેવાય? જે સ્વતંત્ર નિરપેક્ષ દ્રવ્યને
સમજે તેને તે આરોપથી નિમિત્ત કહેવાય, પણ જે સ્વતંત્ર દ્રવ્ય સમજે નહિ તેને માટે તો તે સમ્યગ્દર્શનનાં નિમિત્ત
પણ કહેવાય નહિ. સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં આત્માના અંતરંગ શુદ્ધ પરિણામ તે જ મૂળ કારણ છે.
નાટક–સમયસારમાં પં. બનારસીદાસજીએ કહ્યું છે કે–
શિષ્ય પ્રશ્ન કરે છે–‘આત્મા સ્વાધીન છે કે પરાધીન?’
ઉત્તરમાં શ્રીગુરુ કહે છે કે–દ્રવ્યદ્રષ્ટિએ આત્મા સ્વાધીન છે અને પર્યાયદ્રષ્ટિએ પરાધીન છે. અજ્ઞાનીઓ
પરાધીનતાનો અર્થ એવો કરે છે કે કર્મ વગેરે પર દ્રવ્યો આત્માને પરતંત્ર કરીને વિકાર કરાવે છે. પણ તેમ નથી.
આત્માને કોઈ પર દ્રવ્ય આધીન કરતું નથી પરંતુ આત્મા પોતે સ્વદ્રવ્યદ્રષ્ટિ ભૂલીને પર ઉપરની દ્રષ્ટિ કરે છે, ત્યારે તે
વિકારી થાય છે–આજ પરાધીનપણું છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિએ જીવને વિકાર થાય નહિ પણ પર ઉપરની દ્રષ્ટિએ
વિકાર થાય–એ અપેક્ષાએ પર્યાયદ્રષ્ટિથી આત્માને પરાધીન કહેવાય છે. ખરેખર દરેક પદાર્થ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવથી સત્ છે–સ્વતંત્ર છે. પોતાથી સત્ પદાર્થને પરથી કાંઈ પણ લાભ–નુકશાન થાય એ માન્યતા મિથ્યાબુદ્ધિ
છે. જો આત્મા સ્વભાવ દ્રષ્ટિ કરે તો સ્વાધીનતા પ્રગટે છે અને જો પર્યાયદ્રષ્ટિમાં અટકે તો પરાધીન–વિકારી થાય છે.
પરંતુ બંનેમાં પોતે સ્વતંત્ર છે. પર લક્ષ કરીને વિકારી થાય તોપણ પોતે સ્વતંત્રપણે જ થાય છે. કોઈ પર પદાર્થ તેને
પરતંત્ર બનાવતું નથી. આ વસ્તુસ્વભાવની સ્વતંત્રતાનો ઢંઢેરો સમજવાની ખાસ જરૂર છે અને તે સ્વતંત્રતા
સમજવી તે જ આત્માને માટે મંગળિક છે. તે સ્વતંત્રતા સમજવા માટે જ આ ‘ભગવાનશ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ છે.
***
સમ્યગ્જ્ઞાન–દીપિકા (પુષ્પ–૧૬)
શ્રીમાન ક્ષુલક બ્રહ્મચારી ધર્મદાસજી કૃત આ ગ્રંથમાં આત્માનુભવની અદ્ભુત પ્રેરણા છે. આ ગ્રંથ
અધ્યાત્મથી ભરપૂર છે, અને સમ્યગ્જ્ઞાનરૂપી દીપકવડે ચૈતન્યસ્વરૂપ આત્માનું દર્શન કરાવે છે. સેંકડો ટૂંકા દ્રષ્ટાંતો વડે
આત્મ–સ્વભાવનું વર્ણન કર્યું છે. તે ઉપરાંત આ ગ્રંથમાં લગભગ ૨૦ ચિત્રો આપ્યાં છે, અભ્યાસી મુમુક્ષુઓએ આ
ગ્રંથનું અત્યંત મનન અવશ્ય કરવા યોગ્ય છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર છપાઈને ફાગણ સુદ ૧ના રોજ પ્રગટ
થયું છે. પડતર કિંમત રૂા. ૧–૪–૦ છે પણ તેની કિં. રૂા. ૧–૦–૦ રાખવામાં આવી છે.
* * *
અષ્ટાહ્નિકા મહોત્સવ
ફાગણ સુદ ૭ થી ૧પ સુધી અષ્ટાહ્નિકા મહોત્સવ છે. આ દિવસો દરમિયાન દેવો નંદીશ્વરદ્વીપમાં બિરાજમાન
શાશ્વત જિનપ્રતિમાઓનું પૂજન કરવા જાય છે અને ત્યાં ભક્તિપૂર્વક મહોત્સવ ઉજવે છે.