Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
જેઠ: ૨૪૭૬ : ૧૪૭:
––એ પ્રમાણે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ વળે ત્યારે અનેકાંત થાય છે; બંનેને પકડી રાખે તો
અનેકાંત થતું નથી. અજ્ઞાનીઓ અનેકાંતના નામે ઝઘડા કરે છે. પણ અહીં ‘સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
સિવાય અન્ય કોઈ હેતુએ અનેકાંતમાર્ગ ઉપકારી નથી’ –એમ કહીને તે બધા ઝઘડાનો નિકાલ કરી નાંખ્યો છે.
(૧) જીવ સમજે ત્યારે અશુદ્ધતા હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી, પણ શુદ્ધસ્વભાવના
આશ્રયે જ કલ્યાણ થાય છે.
(૨) જીવ સમજે ત્યારે નિમિત્ત હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી પણ ઉપાદાનસ્વભાવના
આશ્રયે જ કલ્યાણ થાય છે.
(૩) જીવ સમજે ત્યારે શુભરાગ–વ્યવહાર હોવા છતાં તેના આશ્રયે કલ્યાણ થતું નથી પણ રાગરહિત
નિશ્ચયસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે.
સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનદ્વારા જગતના પદાર્થોને જેમ છે તેમ જાણીને, વસ્તુના અનેક ધર્મોનું વર્ણન કર્યું છે.
(૧) ત્રિકાળી શુદ્ધ ને વર્તમાન અશુદ્ધતા,
(૨) ઉપાદાન પોતાની તાકાતથી સમજે અને તે વખતે પર નિમિત્ત હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં.
(૩) સમજવા ટાણે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા વગેરે શુભરાગરૂપ વ્યવહાર હોય, પણ ધર્મ તો
નિશ્ચયસ્વભાવના આશ્રયે જ થાય છે.
––એ પ્રમાણે બબ્બે પડખાં હોવા છતાં, અશુદ્ધતા–નિમિત્ત કે રાગ હું નહિ, શુદ્ધ–ઉપાદાન–નિશ્ચયસ્વભાવ
તે હું–એવી શ્રદ્ધા કરીને સ્વાશ્રયભાવ પ્રગટ કરવો તે ધર્મ છે. અનેકાંતિક માર્ગ હોવા છતાં સમ્યક્ એકાંત એવા
નિજપદની પ્રાપ્તિ માટે જ તે ઉપકારી છે. બબ્બે બોલ હોવા છતાં, તેને જાણીને એક શુદ્ધ–નિશ્ચય તરફ વળે તેનું
નામ સમ્યક્ એકાંત છે.
શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ?
ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્‌યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ?
શુદ્ધસ્વભાવ અને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં, નિશ્ચયસ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર
વ્યવહારને વ્યવહાર કહેશે કોણ? નિર્મળ સ્વભાવ તરફના વલણ વગર સ્વ–પરને જાણવાનો વિવેક ઉઘડશે નહીં.
અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. અભેદ સ્વભાવ તરફ ઢળવું એમ કહો કે ‘સમ્યક્
એકાંત કહો, તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે.’
અહીં ‘સમ્યક્ એકાંત’ કહીને નિમિત્ત, રાગ અને વ્યવહારને ઉડાડી દીધા છે અર્થાત્ તે હોવા છતાં તેના
અશ્રયે કલ્યાણ નથી પણ નિજસ્વભાવના આશ્રયે જ કલ્યાણ છે એમ સમજાવ્યું છે. દયા, દાન કે વ્રત વગેરે
શુભરાગ તે દુઃખ છે–આકુળતા છે, અને હિંસા, વિષયકષાય વગેરે અશુભ લાગણીઓ તીવ્ર દુઃખ છે–આકુળતા છે.
તે શુભ–અશુભ લાગણીઓ આત્માની અવસ્થામાં થાય છે ખરી, પણ તે ત્રિકાળી સ્વરૂપ નથી. અવસ્થામાં પુણ્ય–
પાપ ને અજ્ઞાન છે, તેની જો ના પાડે તો સમજવાનો પ્રયત્ન કરવાનું રહે નહીં; અને ત્રિકાળી સ્વભાવમાં તે
પુણ્ય–પાપ કે અજ્ઞાન નથી–એમ જો ન સમજે તો ત્રિકાળી સ્વભાવના આશ્રય વગર પુણ્ય–પાપ વગેરે ટળે નહીં.
વ્યવહાર, નિમિત્ત ને રાગ છે તેની જ્ઞાનીઓ ના નથી પાડતા, પણ તેનાં વડે ધર્મ થશે, કે તે કરતાં કરતાં ધર્મ
થશે–એમ માનવાની ના પાડે છે.
જીવોએ આ વાત કદી રુચિપૂર્વક સાંભળી નથી. સંસારમાં જીવે અનંત મનુષ્યભવ કર્યા અને સત્
સંભળાવનાર જ્ઞાની અનંતવાર મળ્‌યા, સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્માની સભામાં જઈને દિવ્યધ્વનિ સાંભળ્‌યો, પણ
અંતરમાં નિજપદને પામવાની લાયકાત પોતે પ્રગટ કરી નથી. નિજપદને ભૂલીને પરપદમાં જ અટકી ગયો છે. કાં
તો આત્માને એકાંત શુદ્ધ જ માન્યો, કાં સર્વથા અશુદ્ધ માની લીધો, કાં નિમિત્તથી કલ્યાણ થશે એમ માન્યું, કાં
વ્યવહારના આશ્રયથી લાભ માનીને રાગમાં જ અટક્યો. પણ રાગ અને નિમિત્ત વગરના નિજસ્વભાવ તરફ
કદી વલણ કર્યું નહિ. સ્વભાવ તરફ ઢળતો નિશ્ચય છે ને પર તરફ ઢળતો વ્યવહાર છે. વસ્તુનો સ્વભાવ તે
ઉપાદાન છે અને પર સંયોગ તે નિમિત્ત છે.
(૧) અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં આત્મા સ્વભાવથી શુદ્ધ છે.
(૨) પર નિમિત્ત હોવા છતાં આત્મા સ્વસંવેદ્ય છે.