Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૪૮: આત્મધર્મ: ૮૦
(૩) રાગ–વ્યવહાર હોવા છતાં નિશ્ચયના અવલંબને ધર્મ છે. માટે હે ભાઈ! તું શુદ્ધસ્વભાવસન્મુખ
થઈને તેનું જ્ઞાન કર તો તારું જ્ઞાન અશુદ્ધતાને યથાર્થ જાણશે. સ્વ–ઉપાદાનની દ્રષ્ટિ કર તો પર નિમિત્તને
જોવાની આંખ ઉઘડશે. સ્વભાવસન્મુખ થઈને નિશ્ચય પ્રગટ કર તો વિભાવને–વ્યવહારને–જણવાની તાકાત
ખીલશે. અથવા દ્રવ્ય અને પર્યાય એવા બે બોલ છે. દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર તો પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય.
આ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર તથા દ્રવ્ય અને પર્યાય–એવા
આઠ બોલ થયા; આ આઠે બોલ જાણવા જેવા છે, પણ તે જાણીને એક સ્વભાવ તરફ વળ્‌યા વિના અનેકાંતનું
સાચું જ્ઞાન થતું નથી. શુદ્ધસ્વભાવ કહો, ઉપાદાન કહો, નિશ્ચય કહો કે દ્રવ્ય કહો–તે તરફ ઢળ્‌યા વગર અશુદ્ધતાનું–
નિમિત્તનું–વ્યવહારનું કે પર્યાયનું યથાર્થ જ્ઞાન થતું નથી. અનેકાંતનું ફળ સમ્યક્ એકાંત છે એટલે કે સમ્યક્
એકાંત વગર યથાર્થ અનેકાંત હોય નહીં.
‘મૂળમાર્ગ’ કાવ્યમાં શ્રીમદ્ કહે છે કે–
છે દેહાદિથી ભિન્ન આતમારે, ઉપયોગી સદા અવિનાશ...
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ૦
અંર્તસ્વભાવ તરફ વળીને જ્ઞાતા આનંદકંદ ત્રિકાળ ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્માનું જ્ઞાન કરે તેને
જ અહીં સમ્યગ્જ્ઞાન કહ્યું છે. પર્યાય અને નિમિત્ત વગેરેને જ જાણવામાં રોકાય પણ સ્વસન્મુખ થઈને સ્વભાવને
ન જાણે તો સમ્યગ્જ્ઞાન થાય નહીં.
વળી સમ્યગ્દર્શન સંબંધમાં કહે છે કે–
જે જ્ઞાને કરીને જાણીયું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને રે જેનું બીજું નામ સમકીત મૂળ.
ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાની વાત ન કરી, પણ જ્ઞાનથી જાણવાની વાત કરી. ઈન્દ્રિયો અને રાગના
અવલંબન વગર અતીન્દ્રિય જ્ઞાનવડે જે આત્મસ્વભાવને જાણ્યો તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે, તેનું નામ સમ્યગ્દર્શન
છે. પહેલાંં નિમિત્તરૂપે જ્ઞાનીનો ઉપદેશ હોય છે ખરો, પણ તે ઉપદેશવડે આત્મા જાણાય છે–એમ નથી. જ્ઞાનીનો
ઉપદેશ સાંભળીને પછી સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાનવડે પોતે એમ સમજ્યો કે અહો! હું આત્મા અખંડ ઉપયોગી
અવિનાશી છું. નિમિત્તથી જાણ્યું નથી, રાગથી જાણ્યું નથી, વ્યવહારથી કે ભેદથી જાણ્યું નથી, પણ સ્વતરફ વળતા
જ્ઞાનથી જાણ્યું છે. જુઓ, શ્રીમદ્ના આ કાવ્યમાં કેટલું રહસ્ય ભર્યું છે! અજ્ઞાનીઓ રેકર્ડની જેમ માત્ર શબ્દ બોલી
જાય છે પણ અંદરનો આશય સમજતા નથી. જેમ રેકર્ડ બોલે છે પણ તે રેકર્ડને હૃદય નથી, તેમ અજ્ઞાનીઓ
ભાષા ગોખીને રેકર્ડની જેમ બોલી જાય છે પણ અંદરમાં તેને ભાવની સમજણ નથી. પહેલાંં અજ્ઞાનપણે બીજી
રીતે જાણવાનું માનતો હતો, શાસ્ત્રથી, ઈન્દ્રિયોથી કે રાગથી જાણવાનું માનતો હતો તેથી અહીં કહ્યું કે ‘જ્ઞાને
કરીને જાણીયું રે...’–શું જાણ્યું? હું શુદ્ધ ઉપયોગસ્વરૂપ અવિનાશી આત્મા છું–એમ જાણ્યું, અને એમ જાણ્યું એટલે,
‘હું રાગી છું, હું પર નિમિત્તથી સમજું છું’ એવી જે મિથ્યામાન્યતા હતી તે ટળી ગઈ. અને અવસ્થામાં રાગાદિ
હોવા છતાં તેટલો જ પોતાને ન સ્વીકારતાં ‘હું શુદ્ધ ઉપયોગમય શાશ્વત છું’–એમ સ્વીકારીને પોતાના સ્વભાવ
તરફ વળ્‌યો, એટલે બંને પડખાંનું જ્ઞાન થઈને સમ્યક્ એકાંત થયું. રાગ અને જ્ઞાનસ્વભાવ બંનેને જાણ્યા ખરા,
પણ રાગ તે હું નહિ ને જ્ઞાન તે જ હું–એમ જ્ઞાન તરફ ઢળતાં સમ્યક્ એકાંત થયું.
નીચલી અવસ્થામાં રાગ તદ્ન ટળી જતો નથી, રાગાદિ ભાવો થાય છે ખરા, પણ તે રાગાદિ હોવા છતાં
તેનાથી આત્માને જાણતો નથી, પણ જ્ઞાનથી જ જાણ્યો છે. રાગથી જુદો પડીને જ્ઞાનને પોતાના સ્વભાવમાં
એકત્વ કર્યું તે સમ્યક્ એકાંત છે, તે મોક્ષમાર્ગ છે, તે ધર્મ છે. અવસ્થામાં રાગ છે, રાગના નિમિત્તો છે, વ્યવહાર
છે, પરંતુ તે બધાને જાણીને શુદ્ધ અભેદ સ્વભાવ તરફ વળવું તે જ પ્રયોજન છે. અહીં શુદ્ધ–અશુદ્ધ, ઉપાદાન–
નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર અને દ્રવ્ય–પર્યાય એવા ચાર પ્રકારે બબ્બે બોલ સમજાવીને આત્માને સ્વભાવની
એકતા તરફ વાળ્‌યો છે.
અહીં કોઈ કહે કે આ બધા પ્રકારો જાણીને પછી શું કરવું? તો તેને એમ સમજાવ્યું છે કે આ બધું જાણીને
સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરવા માટે––
(૧) અશુદ્ધતાનો આશ્રય છોડીને શુદ્ધ આત્માનો આશ્રય કરવો.