ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૯૨
બંધનથી છૂટકારાનો ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની જિજ્ઞાસા તૃપ્ત કરે છે
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં પ્રવચનોનું દોહન)
(વીર સં. ૨૪૮પ શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૬)
“હે ભાઈ! સંતો તને આત્માનું સાચું
ભોજન જમાડે છે, –કે જેના સ્વાદથી તને
આત્માના અતીન્દ્રિય–આનંદરસનો અનુભવ
થશે. માટે એક વાર તેનો રસિયો થા.....ને
જગતના બીજા રસને છોડ!
અહો! જંગલમાં રહીને આત્માના
આનંદમાં ઝૂલતાં ઝૂલતાં મુનિવરોએ અમૃત
રેડયાં છે. વિકારના વેગે ચડેલા પ્રાણીઓને
પડકાર કરીને જ્ઞાનસ્વભાવ તરફ પાછા વળ્યા
છેઃ અરે જીવો! પાછા વાળો.....પાછા વાળો! એ
વિકાર તમારું કાર્ય નથી. તમારું કાર્ય તો જ્ઞાન
છે...... વિકાર તરફના વેગે તમારી તૃષા નહીં
છીપે...માટે તેનાથી પાછા વળો......પાછા વળો.
જ્ઞાનમાં લીનતાથી જ તમારી તૃષા શાંત થશે,
માટે જ્ઞાન તરફ આવો.... રે...જ્ઞાન તરફ આવો!
મંગલસ્વરૂપ ભેદજ્ઞાનજ્યોતિને નમસ્કાર હો!
૧. સમયસારના આ કર્તાકર્મઅધિકારમાં વસ્તુસ્વરૂપનું રહસ્ય અને સમ્યગ્દર્શનની ચાવી છે; સ્વ–પરનું
તેમજ સ્વભાવ અને વિભાવનું સ્પષ્ટપણે ભેદજ્ઞાન આચાર્યદેવે આ અધિકારમાં કરાવ્યું છે.
૨. આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેનું પૂર્ણ સામર્થ્ય ખીલી જતાં તે સર્વજ્ઞ થાય છે. તે સર્વજ્ઞ–પરમેશ્વર
જગતના જ્ઞાતા છે, પણ કર્તા નથી.
૩. આ જગતમાં અનંતા જીવ ને અજીવ પદાર્થો છે, તેઓ અનાદિઅનંત સ્વયંસિદ્ધ સત્ છે. તે પદાર્થોના
કોઈ કર્તા નથી. દરેક પદાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ છે; દ્રવ્ય–ગુણ ત્રિકાળ છે, પર્યાય ક્ષણે ક્ષણે નવી નવી થાય
છે. જેમ ત્રિકાળી દ્રવ્યનો કે ગુણનો કોઈ કર્તા નથી તેમ તેની પ્રતિક્ષણવર્તી પર્યાયોનો પણ કોઈ બીજો કર્તા નથી.