Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 29

background image
આસો: ૨૪૮૬ : પ :
(૩) આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,
પંચેન્દ્રિગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩
કેવા છે આચાર્ય–પરમેષ્ઠી? સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન વગેરે પાંચ આચારોથી પરિપૂર્ણ છે; પાંચ
ઈન્દ્રિયોરૂપી જે હાથી તેના મદનું દલન કરવામાં દક્ષ છે–કુશળ છે, ધીર છે અને ગુણોથી ગંભીર છે,–
અગાધ ગુણોના દરિયા છે.–આવું આચાર્યપદ પરમ ઈષ્ટ છે; અહા, કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં વર્તતું
આવું પરમ ઈષ્ટ આચાર્યપદ તે બહુમાન યોગ્ય છે, વંદનીય છે. અંતરમાં મિથ્યાત્વાદિ પરિગ્રહરહિત અને
બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ રહિત, એવા રત્નત્રય સંપન્ન મુનિવરો શુદ્ધોપયોગના બળથી કેવળજ્ઞાનને
સાધી રહ્યા છે–વીતરાગમાર્ગમાં દરેક મુનિની આવી દશા હોય છે; તે ઉપરાંત વિશેષ યોગ્યતાથી જેઓ
અન્ય મુનિઓને દીક્ષા–શિક્ષા વગેરેના દેનાર છે, એવા જૈન–શાસનના ધૂરંધર આચાર્યો હોય છે.
તે આચાર્ય ભગવંતો જ્ઞાનાદિ પંચાચારથી પરિપૂર્ણ હોય છે. અહીં ‘જ્ઞાનાચારથી પરિપૂર્ણ’ એમ
કહ્યું તેથી કેવળજ્ઞાન ન સમજવું, પરંતુ સમ્યગ્જ્ઞાનના વિનય વગેરે આઠ આચારો છે તે સમજવા. કાળ,
વિનય, ઉપધાન, બહુમાન, અનિહ્મવ, અર્થ, વ્યંજન અને તદુભયસંપન્ન–એ આઠ જ્ઞાનાચારના પાલનમાં
કુશળ છે તેથી તેઓ જ્ઞાનાચારથી પરિપૂર્ણ છે.
એ જ રીતે સમ્યગ્દર્શનના આઠ આચાર છે; નિશંકતા, નિઃકાંક્ષપણું, નિર્વિચિકિત્સા, નિર્મૂઢતા,
ઉપગુહન–ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
પંચમહાવ્રત, ઋણગુપ્તિ અને પાંચ સમિતિ એ ચારિત્રના આચાર છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિ, પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત, શય્યાસન, કાયકલેશ,
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ–એ પ્રમાણે બાર પ્રકારના તપાચાર છે.
તથા, જ્ઞાન વગેરે આચારમાં સ્વશક્તિને ગૌપવ્યા વગર પ્રવર્તન તે વીર્યાચાર છે.
શ્રી આચાર્ય મહારાજ આવા પાંચ આચારનું પરિપૂર્ણ પાલન કરનારા છે. હજી જેને શ્રદ્ધા–
જ્ઞાનનું ઠેકાણું ન હોય, વૈરાગ્યનું ઠેકાણું ન હોય, મુનિદશાના મૂળગુણોનું ઠેકાણું ન હોય તેને આચાર્યપદ
હોતું નથી. છતાં તેવાને જે આચાર્ય માને તે કુગુરુને માનનાર છે. અહા! આચાર્યપદ તો તીર્થંકરનું
પાડોશી પદ છે, કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં તેઓ ઝૂલી રહ્યા છે.
વળી કેવા છે આચાર્ય પરમેષ્ઠી?
અતીન્દ્રિય ચિદાનંદ સ્વભાવના અવલંબન વડે પાંચ ઈન્દ્રિયોના મદના ચુરેચૂરા કરી નાંખ્યા છે,
પાંચે ઈંદ્રિયો તરફથી સંકોચાઈને તેમની પરિણતિ ચૈતન્ય સ્વભાવમાં ઢળી ગઈ છે. પહેલાં અજ્ઞાનથી કે
અસ્થિરતાથી ઈંદ્રિયવિષયો તરફ પરિણતિ જતી ત્યારે ઈંદ્રિયો મદાંધ હતી. પરંતુ વિષય કષાય રહિત
થઈને ચિદાનંદસ્વરૂપમાં ઠરતાં ઈંદ્રિયવિષયો તરફ વલણ જ ન રહ્યું એટલે ઈંદ્રિયો રૂપી મદોન્મત્ત
હાથીના મદના ચુરા થઈ ગયા. આ રીતે પંચેન્દ્રિયરૂપી ગજના મદને ચૂરી નાંખવામાં આચાર્યપરમેષ્ઠી
સમર્થ છે. અતીન્દ્રિય આનંદ પરિણતિ ઠરી ત્યાં ઈંદ્રિયો જીતાઈ ગઈ.
વળી, અનેક પ્રકારના ઘોર ઉપસર્ગ આવે તેના પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી, એટલે કે ઘોર
ઉપસર્ગ વખતે પણ નિજ સ્વરૂપથી ડગતા નહિ હોવાથી, આચાર્ય ભગવંતો ધીર અને ગુણગંભીર છે.
ચૈતન્યને સાધતાં સાધતાં વચ્ચે અનેક પ્રકારની ઋદ્ધિઓ સહેજે પ્રગટી હોય, ચક્રવર્તીના સૈન્યને ક્ષણમાં
હરાવી દે એવું સામર્થ્ય પ્રગટ્યું હોય, પરંતુ ચૈતન્યના પરમાનંદના અનુભવની ધૂનમાં પડેલા સંતોને તે
ઋદ્ધિ વાપરવા ઉપર લક્ષ નથી, ઘોર પ્રતિકૂળતા આવી પડે તોપણ ઋદ્ધિનો ઉપયોગ કરતા નથી–એવા
ધીર અને ગંભીર છે.
સાધારણ પ્રાણીઓને જરાક ઋદ્ધિ મળે ત્યાં તે જીરવી ન શકે અને જરાક પ્રતિકૂળતા આવી પડે
ત્યાં તો ધૈર્યથી ચ્યૂત થઈ જાય....પણ ચૈતન્યને સાધનારા સંતો તો મહા