Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૭ :
મોહના ક્ષયનો
અમોઘ ઉપાય
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત થયેલો સોનેરી અવસર
શ્રાવણવદબીજના પ્રવચનમાં પૂ. ગુરુદેવે મોહક્ષયનો અપૂર્વ માર્ગ
દર્શાવ્યો.. અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ મોહબંધન ઢીલા
પડવા માંડે... અને જેનું ઊંડું અંતર્મથન કરતાં ક્ષણવારમાં મોહ ક્ષય પામે
એવો અમોઘ ઉપાય સન્તોએ દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ઘણો
જ દુર્લભ એવો જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે સન્તોના પ્રતાપે
સુગમ બન્યો છે... એ ખરેખર મુમુક્ષુ જીવોના કોઈ મહાન સદભાગ્ય છે.
આવો અલભ્ય અવસર પામીને સંતોની છાયામાં બીજું બધું ભૂલીને
આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં કટિબદ્ધ થઈએ... એ જ
ભાવના. –બ્ર. હ. જૈન.

સ્વભાવની સન્મુખતા વડે લીન થઈને, મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ અરિહંત
પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે અહીં આચાર્યદેવ બતાવે છે.
પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી શુદ્ધ છે, એમના
આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, પોતાના આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન થઈને, સ્વભાવ અને પરભાવનું પૃથક્કરણ થઈને, જ્ઞાનનો ઉપયોગ
અંતરસ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ છૂટી જાય છે, ને
ગુણભેદનો વિકલ્પ છૂટીને, પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થાય છે; પર્યાય અંતર્લીન થતાં મોહનો
ક્ષય થાય છે.
એ રીતે ભગવાન અર્હંતના જ્ઞાનદ્વારા મોહના નાશનો ઉપાય બતાવ્યો; હવે એ જ વાત
બીજા પ્રકારે બતાવે છે તેમાં શાસ્ત્રના જ્ઞાનદ્વારા મોહના નાશની રીત બતાવે છે: પ્રથમ તો જેણે
પ્રથમભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવની વાત છે. સર્વજ્ઞભગવાન કેવા હોય? મારો આત્મા
કેવો છે? મારા આત્માનું સ્વરૂપ સમજીને મારે મારું હિત કરવું છે–એવું જેને લક્ષ હોય તે જીવ
મોહના નાશને માટે શાસ્ત્રનો અભ્યાસ ક્યા પ્રકારે કરે? તે બતાવે છે. તે જીવ સર્વજ્ઞોપજ્ઞ એવા
દ્રવ્યશ્રુતને પ્રાપ્ત કરીને, એટલે કે ભગવાનના કહેલા સાચા આગમ કેવા હોય તેનો નિર્ણય કરીને,
પછી તેમાં જ ક્રીડા કરે છે... એટલે આગમમાં ભગવાને શું કહ્યું છે–તેના નિર્ણય માટે સતત
અંતર મંથન કરે છે. દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા કેવો છે તેનું ચિંતન–મનન કરવું–એનું જ
નામ દ્રવ્યશ્રુતમાં ક્રીડા છે.