Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨પ :
ભરતચક્રવર્તી છ ખંડના રાજમાં રહેલા છતાં ચિદાનંદતત્ત્વના ભાનસહિત વૈરાગી હતા. અરે!
અમે આ રાજના કામ કરનારા નહિ, અમે તો ચૈતન્યનો અનુભવ કરીને આનંદના ખજાના ખોલનારા
છીએ. બીજા ભાવોના કર્તા અમે નથી, ને તે અમારું સ્વરૂપ નથી. એ જ રીતે શ્રેણીકરાજા જે અત્યારે
નરકના સંયોગમાં છે, –તીર્થંકરપ્રકૃતિ બંધાય છે, –પણ અંદરની પરિણતિમાં ભાન છે કે આ નરકનો
સંયોગ, આ તીર્થંકરપ્રકૃતિનો સંયોગ કે તેના કારણરૂપ પરિણામ– તે બધાય મારી ચૈતન્યપરિણતિથી
ભિન્ન છે. ચૈતન્યની પરિણતિ તે જ હું છું. –આવી પરિણતિ વગર જ્ઞાનદશા કહેવાય નહિ.
જ્ઞાનપરિણતિ જેને ખીલી છે તે ધર્માત્મા રાગાદિના પરિણામને જાણે છે, પણ તે પરિણામને
જ્ઞાનભૂમિમાં દાખલ કરતો નથી, જ્ઞાનભૂમિથી તેને જુદા જ જાણે છે. મિથ્યાત્વની ભૂમિકાવાળા તીવ્ર
રાગદ્વેષ કે કષાયો તો ધર્મીને હોતા જ નથી; નરકાદિનું હલકું આયુષ્ય પણ ધર્મની ભૂમિકામાં બંધાતું
નથી; તે ઉપરાંત અહીં તો કહે છે કે ધર્મની ભૂમિકામાં દેવાદિનું જે ઊંચું આયુષ્ય બંધાય છે તેનો કર્તા
ધર્મીજીવ નથી; શુભ પરિણામનુંય કર્તૃત્વ જ્ઞાનમાં નથી.
અહો, એક તરફ જ્ઞાનભાવ, ને બીજી તરફ બધાય પરભાવ, બંનેની જાત જ જુદી; બંનેની ધારા
જ જુદી. સમકિતીને તીર્થંકરપ્રકૃતિ બંધાય–એમ કહેવાય પણ ખરેખર એ તીર્થંકરપ્રકૃતિનું કે તેના
કારણરૂપ શુભરાગનું કર્તૃત્વ સમકિતીની પરિણતિમાં નથી. સમકિતીનું પરિણમન તો જ્ઞાનમય જ છે.
જ્ઞાનમય પરિણમનમાં વિકારનું કે જડનું કર્તૃત્વ કેમ હોય?
વિકાર તો મેલો છે, ને જ્ઞાન તો પવિત્ર છે; પવિત્ર જ્ઞાનભાવમાં મેલનું કર્તૃત્વ કેમ હોય?
જ્ઞાનપરિણતિ તે જ જ્ઞાતાની ચાલ છે. મલિનતા તે જ્ઞાતાની ચાલ નથી. અરે, એકવાર આવું ભેદજ્ઞાન
તો કરો! જ્ઞાનનું સ્વરૂપ શું ને વિકારનું વિરૂપ શું–તે બંનેની ભિન્ન ભિન્ન જાત ઓળખીને જ્યાં જ્ઞાનરૂપ
પરિણમ્યો ત્યાં બધાય પરભાવનું કર્તૃત્વ છૂટી ગયું. –આનું નામ ધર્મ છે.
પ્રભુ આત્માનો સ્વાદ તો વિજ્ઞાનઘનરૂપ છે, આનંદમય નિજરસથી ભરેલો સ્વાદ તે જ
આત્માનો સ્વાદ છે. કષાયનો સ્વાદ આકુળતાથી ભરેલો છે, તે સ્વાદ આત્માનો નથી. જ્યાં ચૈતન્યમાં
ડૂબકી મારે ત્યાં નિરાકુળ અચલિત શાંતરસનો સ્વાદ આવે છે. જે સ્વાદ બહિદ્રષ્ટિમાં જીવે કદી ચાખ્યો
નથી; જે સ્વાદ ચાખતાં અનંત સંસારનો થાક ક્ષણમાત્રમાં ઊતરી જાય છે.
આત્મા... એટલે આનંદથી ભરેલું સરોવર!
આત્મા... એટલે ચૈતન્યપ્રકાશી સૂર્ય!
આત્મા... એટલે વિજ્ઞાનરસનો ભંડાર!
આત્મા... એટલે શાંત ચૈતન્યસ્વાદની સમુદ્ર!
ચૈતન્યતત્ત્વ ઊંડું છે; ઊંડું એટલે શુભાશુભ લાગણીઓથી પાર; તે ચૈતન્યતત્ત્વને સ્પર્શ્યા વિના
પરભાવના કર્તૃત્વથી જ જીવ સંસારમાં રખડે છે. સંસારમાંય તે કાંઈ શરીરાદિનાં કામ નથી કરતો.
ભાઈ, તારે પરનાં કાર્યો સાથે તો સંબંધ નથી, ને શુભ–અશુભ ભાવો પણ ખરેખર તારા
સ્વભાવ સાથે સંબંધવાળા નથી, –તો તું તેનો કર્તા કેમ થાય છે? જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળ તો
આનંદરસની સ્ફુરણા થાય.
સાકર વગેરેમાં સ્વાદ હોય, પણ શું આત્મામાં સ્વાદ હોય? તો કહે છે કે હા; વીતરાગી
શાંતરસનો અનાકુળ સ્વાદ આત્મામાં છે. શાંત ચૈતન્યરસનો પિંડ આત્મા છે, અનુભવમાં તેનો સ્વાદ
આવે છે. –ચૈતન્યનો આવો નિરાકુળ શાંત સ્વાદ જગતના બીજા કોઈ પદાર્થમાં નથી.
શુભાશુભરાગમાં આકુળતાનો કષાયેલો સ્વાદ છે; તેના કર્તૃત્વમાં જે અટકે છે તે ચૈતન્યના
આનંદ–