Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 61

background image
: ૩૦ : આત્મધર્મ: ૨૩૯
આત્માનો સ્વાભાવિક ગુણ છે, તે સિદ્ધદશામાં પણ આત્મા સાથે અભેદ રહે છે.
આત્માના સ્વાભાવિક પરિણામ તો વિશુદ્ધ છે, વીતરાગ છે. પણ પરદ્રવ્ય પ્રત્યે રાગ–દ્વેષ–મોહથી
તેના પરિણામમાં મલિનતા થાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવથી તો ઉજ્જવળ–નિર્મળ છે, તેમાં
અન્યદ્રવ્યના સંસર્ગથી કાળા–રાતા વગેરે રંગની ઝાંઈ દેખાય છે; તેમ જીવદ્રવ્યમાં સ્વભાવથી રાગ–દ્વેષ–
મોહ નથી પણ તેના પરિણામ સ્વરૂપથી ચ્યૂત થઈ પરદ્રવ્ય સાથે સંબંધ કરીને રાગાદિરૂપ થાય છે. તે
રાગાદિભાવો ખરેખર તેના સ્વધર્મો નથી. પરિણમન તો તે પોતાની પર્યાયમાં છે પણ તે પરિણામ
સ્વભાવ સાથે અનન્યભૂત નથી. માટે તેને સ્વભાવથી અનેરાપણે જાણીને, અને જીવના વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવને જાણીને તેમાં એકાગ્રતાથી વીતરાગી ચારિત્ર પ્રગટ કરવું અને રાગાદિ દોષ ટાળવા–
એવો ઉપદેશ છે.
રત્નત્રયના આરાધક ધર્માત્મા જ્યાંસુધી વીતરાગ ન થયા હોય ને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર ન
હોય ત્યારે, ધ્યાનની પરમ પ્રીતિપૂર્વક તેને ધ્યાન કરનારાઓ પ્રત્યે પણ વિનય–બહુમાન ને વાત્સલ્ય
આવે છે. શ્રી અરિહંતદેવ તથા સિદ્ધપરમાત્મા પ્રત્યે અને ગુરુ પ્રત્યે વિનય–બહુમાન અને ભક્તિ આવે
છે, ને પોતાના સમાન બીજા સાધર્મી ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ અનુમોદના આવે છે. મુનિઓને આવો
ભાવ હોય છે એમ કહેતાં તેના પેટામાં સમકિતી શ્રાવક–ગૃહસ્થોની વાત પણ આવી જાય છે. દેવગુરુ
પ્રત્યે, સાધર્મી ધર્માત્મા જેને વિનય–ભક્તિ–અનુરાગ ન હોય તેને તો ધર્મની પ્રીતિ જ નથી. ધર્મની જેને
રુચિ હોય તેને ધર્મવાનની પણ રુચિ જરૂર હોય. ધર્મવાનની જેને રુચિ–પ્રીતિ નથી તેને ધર્મની જ
રુચિ–પ્રીતિ નથી.
અહા, મુનિઓનું અને ધર્માત્માઓનું ધ્યેય તો ચૈતન્યધ્યાનમાં ઠરીને પૂર્ણ વીતરાગ થવાનું છે;
પણ જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વીતરાગતાને પામેલા દેવ અને વીતરાગતાના ઉપાસક એવા ગુરુ
પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન આવે છે. પોતાને ધ્યાનની રુચિ છે એટલે ધ્યાનવંત ધર્માત્માને દેખાતાં
તેમના પ્રત્યે પણ ભક્તિભાવ આવે છે કુંદકુંદઆચાર્ય જેવાને પોતાને પણ આવો દેવ–ગુરુની ભક્તિનો
ભાવ અને સાધર્મી પ્રત્યે પ્રમોદ આવે છે. અહા, જેમના નિમિત્તથી આત્મા સમજાયો તેમના પ્રત્યે પરમ
ભક્તિ આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જ દેવ–ગુરુ પ્રત્યે સાચી ભક્તિ ઉલ્લસે છે, કેમકે તેને જ ખરી ઓળખાણ
સહિતની ભક્તિ છે. મિથ્યાદ્રષ્ટિ તો રાગનો કેડાયત છે, રાગના પંથે ચાલનારો છે. તેને વીતરાગ
પરમાત્માની ખરી ભક્તિ હોતી નથી. અને ધર્મી તો વીતરાગનો કેડાયત છે એટલે વીતરાગ પ્રત્યે ખરી
ભક્તિ તેને હોય છે. બહારથી કદાચિત અજ્ઞાનીને અને જ્ઞાનીને ભક્તિનું સરખાપણું દેખાય પણ
અંતરમાં મોટો આંતરો છે, જ્ઞાનીના અંતરમાં વીતરાગસ્વભાવના સેવનપૂર્વકની ભક્તિ છે, અજ્ઞાનીના
અંતરમાં રાગનું જ સેવન છે.
જ્ઞાની શિષ્ય જેનાથી આત્મજ્ઞાન પામ્યો તે ગુરુને કહે કે હે ગુરુ! આપના પ્રતાપે અમે
ભવસાગરને તર્યા... અનંત ભવસમુદ્રમાંથી આપે અમને પાર ઊતાર્યા.. આપ મળ્‌યા ન હોત તો અમે
સંસારમાં રખડતા હોત! આપે અમને પરમકૃપા કરીને પાર ઊતાર્યા આપના ચરણના પ્રસાદથી જ
અમને રત્નત્રયની આરાધનાની પ્રાપ્તિ થઈ... આપનો મહા ઉપકાર છે. –એ વાત નેમિચન્દ્ર
સિદ્ધાંતચક્રવર્તીએ ગોમટ્ટસારમાં કરી છે.
સાધર્મી ધર્માત્મા કે ધર્મનું સેવન કરનારા સરખા સાધર્મી તેના પ્રત્યે જેને પ્રેમ ન આવે,
અનુમોદના ન આવે તેને ધર્મની ને ધ્યાનની રુચિ જ નથી. ધર્મની પ્રીતિ હોય તેને સમ્યગ્દર્શનાદિ
ધરનાર પ્રત્યે પણ પ્રેમ હોય છે. ધર્મ ધર્મી વગર હોતો નથી.